કોરોના અને લોકડાઉનના સમયમાં પ્રવાસી મજૂરો ભારે ભીંસમાં આવ્યાં હતા અને તેમને ખાવાના પણ ફાંફા પડી ગયા હતા અને હજુ કેટલેક અંશે આ સ્થિતિ ચાલુ રહેતા સુપ્રીમ કોર્ટનો જીવ કકળી ઉઠ્યો હતો જોકે કોર્ટે સરકારને સીધું એમ નથી કે તમે ગરીબોને અનાજ પહોંચાડવા માટે કંઈ કર્યું નથી પરંતુ માનવતાને નાતે સુપ્રીમે સરકારને કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ ભૂખો ન સુવે અને છેવાડાના માનવી સુધી અનાજ પહોંચાડવું એ આપણી ફરજ છે.
સ્થળાંતર અને અસંગઠિત ક્ષેત્રના મજૂરોનો આંકડો આપો
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આપણી સંસ્કૃતિ છે કે આપણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન સૂવે. મંગળવારે એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, કેન્દ્રએ એ સુનિશ્ચિત કરવું જોઇએ કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ અનાજ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે. જસ્ટિસ એમ આર શાહ અને હિમા કોહલીની ખંડપીઠે કેન્દ્રને નિર્દેશ આપ્યો હતો કે ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા સ્થળાંતર અને અસંગઠિત ક્ષેત્રના મજૂરોની સંખ્યા સાથે એક નવો ચાર્ટ રજૂ કરવામાં આવે.
કોઈ ખાલી પેટે ન સૂવે તે આપણી સંસ્કૃતિ
સુપ્રીમે કહ્યું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (એનએફએસએ) હેઠળ અનાજ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવું એ કેન્દ્ર સરકારની ફરજ છે. અમે એમ નથી કહી રહ્યા કે કેન્દ્ર કંઈ કરી રહ્યું નથી, ભારત સરકારે કોવિડ દરમિયાન લોકોને અનાજ આપ્યું છે. સાથે સાથે આ પ્રક્રિયા ચાલુ રહે તે પણ જોવું રહ્યું. કોઈ ખાલી પેટે ન સૂવે તે આપણી સંસ્કૃતિ છે.
રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા હેઠળ 81.35 કરોડ લાભાર્થીઓ
સરકારનું પ્રતિનિધિત્વ કરતા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ કહ્યું કે એનએફએસએ હેઠળ 81.35 કરોડ લાભાર્થીઓ છે, જે ભારત માટે પણ મોટી સંખ્યા છે.
શું છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો
યુપીએ સરકારના શાસન દરમિયાન 10 સપ્ટેમ્બર, 2013ના રોજ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો અમલમાં આવ્યો હતો. તેનો હેતુ લોકોને ગૌરવભર્યું જીવન જીવવા માટે પોષણક્ષમ ભાવે ગુણવત્તાયુક્ત અનાજનો જરુરી જથ્થો આપવાનો હતો. આ કાયદા હેઠળ 75 ટકા ગ્રામીણ વસ્તી અને 50 ટકા શહેરી વસ્તીને સરકાર દ્વારા ખૂબ જ ઓછા ભાવે અનાજ પૂરું પાડવામાં આવે છે.