VIP કે VVIP નહીં, આ વખતે પરેડની પહેલી હરોળમાં હશે રિક્ષાચાલક અને શાકભાજી વેચનાર, જાણો શું હશે ખાસ અને કોણ હશે મુખ્ય મહેમાન.
આ વખતની ગણતંત્ર દિવસની પરેડ હશે એકદમ ખાસ
રિક્ષાચાલકોથી લઈને શાકભાજી વેચનારાઓ અપાયું છે ખાસ આમંત્રણ
પ્રથમ વખત ઓનલાઈન મળી રહી છે પરેડની ટિકિટ
આ વખતે 26મી જાન્યુઆરીની પરેડમાં રિક્ષાચાલકોથી લઈને શાકભાજી વેચનારાઓને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. શ્રમજીવી એટલે કે જે લોકોએ સેન્ટ્રલ વિસ્ટાના નિર્માણમાં મદદ કરી છે તેમના પરિવારો, કર્તવ્ય પથની જાળવણી કરનારા કામદારો 26મી જાન્યુઆરીએ યોજાનારા કાર્યક્રમના મુખ્ય સ્ટેજની સામે બેસશે. આ વર્ષના ગણતંત્ર દિવસની થીમ "પાર્ટિસિપેશન ઓફ ધ કોમન પીપલ'' (Participation of the Common People) છે. આ કાર્યક્રમમાં ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી (Abdel Fattah al-Sisi) મુખ્ય અતિથિ હશે.
સામાન્ય નાગરિકોનું પ્રતિનિધિત્વ વધારવા સરકારે કર્યું છે ઘણું કામ
કેન્દ્ર સરકારે છેલ્લા કેટલાક વર્ષોથી સરકારી આયોજન અને કાર્યક્રમોમાં સામાન્ય નાગરિકોનું પ્રતિનિધિત્વ વધારવા માટે ઘણું કામ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ ગયા વર્ષે ઓટોરિક્ષા ચાલકો, સફાઈ કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કરોને દેશના ભવ્ય કાર્યક્રમ ગણતંત્ર દિવસની પરેડ માટે આમંત્રણ આપ્યું હતું.
સેન્ટ્રલ વિસ્ટાના ઉદ્ધાટન બાદ પ્રથમ ગણતંત્ર દિવસ કાર્યક્રમ
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું સપ્ટેમ્બર 2022માં ઉદ્ધાટન કરાયું હતું અને રાજપથના નામથી ઓળખાતા પથનું નામ બદલીને કર્તવ્ય પથ કરી દેવામાં આવ્યું હતું. જે બાદ આ વર્ષે ત્યાં આ પ્રથમ ગણતંત્ર દિવસનું આયોજન થવા જઈ રહ્યું છે. આ પરેડમાં સીટ 45 હજારથી ઘટાડીને 32 હજાર કરી દેવામાં આવી છે.
પરેડ સિવાલય બીજું શું હશે ખાસ?
પ્રજાસત્તાક દિવસની પરેડ 2023 સિવાય લાલ કિલ્લા પર મિનિસ્ટ્રી ઓફ ટ્રાઈબલ અફેર્સ અને મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ તરફથી અનેક કાર્યક્રમો યોજાશે. વિવિધ રાજ્યોના આર્ટ ફોર્મ્સ અને ફૂડનું પ્રદર્શન થશે. આ કાર્યક્રમ ભારત પર્વ તરીકે ઓળખાશે. સાથે જ ફ્લાઇપાસ્ટમાં 18 હેલિકોપ્ટર, 8 ટ્રાન્સપોર્ટર વિમાન, અને 23 ફાઇટર એરક્રાફ્ટ સામેલ થશે. આ સિવાય ઈજિપ્તના 120 લોકોની માર્ચિંગ ટુકડી પણ પરેડમાં ભાગ લેશે.
પ્રથમ વખત ઓનલાઈન મળી રહી છે પરેડની ટિકિટ
- 6 જાન્યુઆરીથી કેન્દ્ર સરકારે ટિકિટ માટે એક પોર્ટલ એક્ટિવ કર્યું છે.
- www.aamantran.mod.gov.in પોર્ટલ પર પહેલા રજિસ્ટ્રેશન કરાવો.
- રજિસ્ટ્રેશનમાં માંગવામાં આવેલી જાણકારી આપ્યા બાદ મોબાઈલ OTPથી લોગિન કરવાનું રહેશે.
- લોગિન કર્યા પછી પ્રજાસત્તાક દિવસની પરેડ માટે ટિકિટનો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે.
- આ ઓપ્શનમાં તમારું નામ, બર્થ ડેટ, સરનામું, મોબાઈલ નંબરની વિગતો ભરવાની રહેશે.
- જે બાદ આધારકાર્ડ અથવા ચૂંટણી કાર્ડની તસવીર અપલોડ કરવાની રહેશે.
- આ તમામ પ્રક્રિયા કર્યા બાદ પેમેન્ટ ઓપ્શન પર જઈને ટિકિટની કિંમત ચૂકવવાની રહેશે.
- આ સાથે ટિકિટ બુક થઈ જશે, જેની હાર્ડકોપી તમે ડાઉનલોડ કરી શકશો.
- આ વખતે ટિકિટની કિંમત રૂ.20થી રૂ.500 સુધીની છે.
- આ કિંમત વિવિધ કેટેગરી અનુસાર રાખવામાં આવી છે