ન્યૂ દિલ્હીઃ જોધપુરની કોર્ટ દ્વારા સ્વયંભૂ બાબા આસારામને દોષી જાહેર કર્યા બાદ દેશમાં હજી સુધી ક્યાંય પણ કોઇ પણ પ્રકારની અપ્રિય ઘટના બની હોવાનાં સમાચાર સામે નથી આવી રહ્યાં.
ગૃહ મંત્રાલયનાં એક પ્રવક્તાએ કહ્યું કે "મંત્રાલય વર્તમાન સ્થિતિ પર પોતે ખુદ નજર રાખવા માંગે છે અને એમાંય ખાસ કરીને રાજસ્થાન ગુજરાત અને હરિયાણાની સ્થિતિ પર વિશેષ રીતે નજર રાખવામાં આવી રહી છે. તેઓએ જણાવ્યું કે "આસારામ બાપુને દોષી જાહેર કરી દીધાં બાદ હજી સુધી આ મામલે કોઇ પણ પ્રકારની કાયદા-વ્યવસ્થા કથળી હોવાંની ઘટના સામે આવી નથી."
તેઓએ કહ્યું કે "સંબંધિત રાજ્ય સરકારે આ મામલે દરેક સ્થિતિને લઇ ચાંપતી નજર રાખી છે. જોધપુરની કોર્ટે અંદાજે 5 વર્ષ પહેલાનાં એક કિશોરી પરનાં બળાત્કારનાં કેસમાં આસારામને દોષી સાબિત કરીને આજીવન કેદની સજા સંભળાવી.
કેન્દ્ર સરકારે રાજસ્થાન ગુજરાત અને હરિયાણાની સરકારને કાલે કહ્યું હતું કે પોતાનાં રાજ્યોમાં તેઓ ચુસ્તપણે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દે જેથી કોઇ પણ પ્રકારની હિસાં ભડકે નહીં. સંવેદનશીલ સ્થળોએ અતિરિક્ત સુરક્ષા બળોને તૈનાત કરી દેવામાં આવે તેવી અગમચેતી પણ આપવામાં આવી હતી.