ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી છે. પ્રથમ ઇનિંગ્સમાં ૧૯૧ રનમાં ઓલઆઉટ થયા બાદ ટીમ ઇન્ડિયાએ બીજી ઇનિંગ્સમાં પહાડ જેવડો સ્કોર ખડકી દીધો.
ભારતીય ટીમે ચોથી ટેસ્ટ જીતવા માટે ઈંગ્લેન્ડને ૩૬૮ રનનો લક્ષ્ય આપ્યો છે. પરંતુ ભારતીય છાવણી માટે રાહતના સમાચાર એ છે કે લંડનના ઓવલ મેદાન પર અત્યાર સુધી કોઈ પણ ટીમે બીજી ઇનિંગ્સમાં ૩૦૦થી વધુ રનના લક્ષ્યનો પીછો કરીને જીત હાંસલ કરી નથી.
ઈંગ્લેન્ડે ધીરજપૂર્વક રમવુ પડશે
આનો અર્થ સ્પષ્ટ છે કે આ ટેસ્ટ મેચમાં હવે ઈંગ્લેન્ડ સામે એક જ રસ્તો બચ્યો છે અને એ છે કે ટેસ્ટ મેચ બચાવવા માટે આજે આખો દિવસ ધૈર્યપૂર્વક રમવું, જે ઘણું મુશ્કેલ છે, કારણ કે ઈંગ્લેન્ડની ટીમમાંથી જો રૂટ, ડેવિડ મલાન અને ઓલિવર પોપને બાદ કરતાં અન્ય કોઈ બેટ્સમેન સારા ફોર્મમાં નથી.
ઈંગ્લેન્ડે 119 વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી હતી
ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડે ૧૧૯ વર્ષ પહેલાં ૨૬૩ રનનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયા સામે જીત હાંસલ કરી હતી અને આ જ અત્યાર સુધી ઓવલમાં ચોથી ઇનિંગ્સનો સૌથી મોટો સફળ રન ચેઝ છે. આ લિસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ બીજા સ્થાને છે. વર્ષ ૧૯૬૩માં વિન્ડીઝની ટીમે ઓવલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ૨૫૩ રનના લક્ષ્યનો પીછો કરતાં જીત મેળવી હતી. છેલ્લાં ૩૦ વર્ષમાં ઓવલના મેદાનમાં એક જ વાર કોઈ ટીમ ૨૦૦થી વધુ રનના લક્ષ્યને હાંસલ કરી શકી છે. ઈંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકા સામે ૧૯૯૪માં ૨૦૪ રન બનાવીને ટેસ્ટ મેચ જીતી લીધી હતી. ૨૦૧૦થી લઈને છેલ્લાં ૧૧ વર્ષ દરમિયાન ચોથી ઇનિંગ્સમાં ક્યારેય પણ ૧૫૦થી વધુ રન પણ ચેઝ થઈ શક્યા નથી. ૨૦૧૦માં પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામે આ મેદાન પર ચોથી ઇનિંગ્સમાં ૧૪૮ રન બનાવીને ટેસ્ટ મેચ જીતી લીધી હતી.
દારોમદાર હવે બોલર્સ પર
ટેસ્ટ મેચ હાલ રોમાંચક સ્થિતિમાં છે. આજે ઈંગ્લેન્ડને ૯૦ ઓવરમાં ૨૯૧ રન બનાવવાના છે. ભારતીય બેટ્સમેનોએ પોતાનું કામ કરી બતાવ્યું છે, હવે બધો દારોમદાર ભારતીય બોલર્સ પર છે. ભારતીય બોલર્સ પાસે ૧૦ વિકેટ ઝડપવા માટે પર્યાપ્ત રન છે. ટીમમાં બૂમરાહ, ઉમેશ યાદવ, મોહંમદ સિરાઝ, શાર્દૂલ ઠાકુરના રૂપમાં ફાસ્ટ બોલર છે, જ્યારે આજે ટેસ્ટ મેચના અંતિમ દિવસે સ્પિનર રવીન્દ્ર જાડેજા ટીમ ઇન્ડિયા માટે એક નવી કહાની લખી શકે છે.