દેશ કોરોના સંકટથી પસાર થઇ રહ્યો છે. કોરોના સંકટમાં દેશમાં વિવિધ સ્પોર્ટસ ઇવેન્ટ પર પણ માઠી અસર પડી છે. એવામાં દેશની સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટ આઈપીએલને પણ મુલતવી રાખવામાં આવી હતી ત્યારે શું આગામી સમયમાં લીગનું આયોજન થઇ શકે છે કે કેમ તે સવાલ પર કેન્દ્રીય ખેલ મંત્રી કિરણ રિજિજૂએ મોટું નિવેદન આપ્યું છે.
દેશમાં નજીકના ભવિષ્યમાં કોઈ ટૂર્નામેન્ટનું આયોજન નહીં થાય : ખેલમંત્રી
લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી કોઈ આયોજન નહીં થાય
કોઈ પણ આયોજન કરવા પર સરકાર પાસે છે વિશેષાધિકાર છે
શનિવારે ખેલમંત્રી કિરણ રિજિજૂએ કહ્યું કે દેશમાં નજીકના ભવિષ્યમાં કોઈ પ્રકારની આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ થઇ શકે તેમ નથી. આ સિવાય તેમણે કહ્યું કે હવે ખેલાડીઓએ દર્શકો વગર જ આયોજનની ટેવ પાડવી પડશે.
નોંધનીય છે કે કિરણ રિજીજુના આ નિવેદનની સીધી અસર આઈપીએલ પર પડશે. મીડિયા સાથે વાતચીતમાં રિજિજુએ કહ્યું કે તે ખેલ ગતિવિધિને ફરીથી શરુ કરવા માટે ઘણા સમયથી કામ કરી રહ્યા છે પરંતુ તે શરુ કરતા પહેલાં અભ્યાસ અને પ્રશિક્ષણ વિશે પણ વિચારવું પડશે. એવામાં તરત જ ટૂર્નામેન્ટનું આયોજન કરવાની સ્થિતિમાં નથી.
આ સિવાય તેમણે કહ્યું કે 'આ પરિસ્થિતિમાં સ્ટેડીયમમાં દર્શકો વગર જ ખેલનું આયોજન થાય તે આપણે શીખવાનું રહ્યું. નોંધનીય છે કે આ વર્ષે આઈપીએલ અનિશ્ચિત કાળ સુધી સ્થગિત થઇ ગયેલ છે ત્યારે ટૂર્નામેન્ટના આયોજન પર સવાલના જવાબમાં તેમણે કહ્યુ કે આવા બધા જ આયોજન પર નિર્ણય લેવાનો વિશેષાધિકાર સરકાર પાસે છે.'
દેશમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રિજિજુએ કહ્યું કે 'સરકાર સ્થિતિને જોઇને આ મુદ્દે નિર્ણય લેશે. અમે સ્વાસ્થ્યને જોખમમાં નાખીને રમતગમતનું આયોજન કરી શકીએ નહીં. અમારું સંપૂર્ણ ધ્યાન અત્યારે કોરોના મહામારી સામે લડવા પર છે અને સ્થિતિ સામાન્ય કરવા માટે અમે કામ કરી રહ્યાં છે ત્યારે કોઈ પણ તારીખ વિશે ખુલાસો કરવો ત્યારે મુશ્કેલ કામ છે, જોકે મને લાગે છે આ વર્ષે અમુક પ્રતિયોગીતાઓ થશે.'