દિવાળીના તહેવારના આડેહાથ હવે ગણતરીના જ દિવસો બાકી બચ્યાં છે, ત્યારે લોકો ભાન ભૂલીને બજારોમાં ખરીદી કરતા નજરે પડી રહ્યા છે, તો બીજી તરફ છેલ્લા કેટલાય સમયથી જે મંદીનો માહોલ હતો તે પણ હવે દૂર થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
બજારમાં ઉમટ્યું માનવ મહેરામણ
સામાજિક અંતરના નિયમો ભૂલાયા
લોકો બજારો તરફ વળતા મંદીનો માહોલ થયો દૂર
આગામી દિવસોમાં દિવાળીનો સૌથી મોટો તહેવાર આવી રહ્યો છે. તો બીજી તરફ કોરોનાનો કહેર પણ હવે રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં ધીમો પડ્યો છે. ત્યારે હાલ રાજકોટના ધર્મેન્દ્ર રોડ સ્થિત બજારોમાં માનવ મહેરામણ ઉમટી રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો બીજી તરફ ગુંદાવાળી બજારના પણ કંઈક આવા જ હાલ જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી ગ્રાહકો બજાર તરફ ન વળતા મંદીનો માહોલ વર્તાઈ રહ્યો હતો. પરંતુ દિવાળીની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હાલ બજારમાંથી મંદીનો માહોલ ધીમે ધીમે દૂર થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ખુદ વેપારીઓ પણ આશા સેવી રહ્યા છે કે કોરોનાના કારણે બજારમાં જે મંદીનો માહોલ હતો તે મંદીનો માહોલ દિવાળીનો તહેવાર દૂર કરશે.
ધર્મેન્દ્ર રોડ, ઘી-કાંટા રોડ, દરજી બજાર, ગુંદાવાળી, સાંગણવા ચોક સહિતના વિસ્તારોમાં હાલ લોકો ખરીદી માટે ઉમટી રહ્યા છે. તો બીજી તરફ લોકો ખરીદીની અંદર ભાન ભૂલી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. કોરોના કાળ જાણે કે સમાપ્ત થઈ ચૂક્યો હોય કોરોના ફરી વખત દેખાવાનો ન હોય તે પ્રકારે લોકો બેદરકારી દાખવી રહ્યા છે. લોકો ટોળે ટોળા વળી ખરીદી કરી રહ્યા છે. નિયમોનુસાર માસ્ક પણ નથી પહેરી રહ્યા.
તો બીજી તરફ સામાન્યતઃ તહેવારોના દિવસોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોઈ છે. પરંતુ હાલ એક પણ પોલીસકર્મી કે અધિકારી કોરોના કાળમાં બંદોબસ્તમાં મૂકવામાં નથી આવ્યા.
કોરોના કાળ શરૂ થયા તેને સાત સાત મહિના જેટલો સમય વિતી ગયો છે, ત્યારે ચોક્કસ તહેવાર આવતા લોકોએ તહેવારો સારી રીતે ઉજવવા જોઈએ, પરિવાર સાથે તે તહેવારોને માણવા પર જોઈએ, પરંતુ હજુ કોરોના કલ સમાપ્ત નથી થયો ત્યારે લોકોએ જાગૃતતા પણ તેટલી જ દાખવવી જોઈએ.