ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ)એ તેના ગ્રાહકોને મોટી રાહત આપી છે. હવેથી એસબીઆઇ એટીએમથી ગ્રાહકો દ્વારા કરનામાં આવતા ટ્રાન્ઝેક્શન પર સર્વિસ ચાર્જ માફ કરશે. આ સુવિધા અંતર્ગત એસબીઆઇના ગ્રાહકો 30 જૂન સુધી અન્ય કોઈપણ બેંકના એટીએમ પર પણ તેનો લાભ મેળવી શકે છે.
લોકડાઉનમાં એસબીઆઈ બેંકના ગ્રાહકો માટે સારાં સમાચાર
બેંક કોઈ જ ચાર્જ વિના આપશે આ સુવિધા
બેંકે લોનના વ્યાજદરમાં પણ કર્યો ઘટાડો
15 એપ્રિલ 2020ના રોજ બેંકે તેની વેબસાઇટ પર આ અંગેની સત્તાવાર જાહેરાત કરી છે. બેંકની વેબસાઇટ અનુસાર, 24 માર્ચે નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કરેલી ઘોષણાને ધ્યાનમાં રાખીને એસબીઆઇએ એટીએમ અને અન્ય બેંકો પર કરવામાં આવેલા તમામ એટીએમ ટ્રાન્ઝેક્શન માટે એટીએમ ફી માફ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે તમે ગમે એટલીવાર ટ્રાન્ઝેક્શન કરશો પણ બેંક દ્વારા કોઈ જ સર્વિસ ચાર્જ લેવામાં આવશે નહીં.
નાણાં પ્રધાને 24 માર્ચે જાહેરાત કરી હતી
આ અગાઉ 24 માર્ચે નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું હતું કે, ગ્રાહકોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને બેંકના ગ્રાહક દ્વારા કોઈ અન્ય બેંકના એટીએમમાંથી ત્રણ મહિના એટલે કે 30 જૂન સુધી રોકડ ઉપાડવા માટે કોઈ ફી લેવામાં આવશે નહીં. ડેબિટ કાર્ડ ધારકો અન્ય કોઈપણ બેંકમાંથી ફ્રીમાં રોકડ ઉપાડી શકે છે. નાણાં પ્રધાને કોરોના મહામારીના પ્રકોપને જોતા આ નિર્ણય લીધો હતો.
વ્યાજદરમાં કર્યો ઘટાડો
એટલું જ નહીં, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પણ 15 એપ્રિલથી બચત ખાતા પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. જેના કારણે ગ્રાહકોને નુકસાન થયું છે. હવે, બચત ખાતામાં જમા રકમ પર 2.75 ટકાના દરે વ્યાજ આપવામાં આવશે. એસબીઆઈએ બચત ખાતામાં મળતા વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. એટલે કે, અગાઉ એસબીઆઈ બચત ખાતા પર ત્રણ ટકા વ્યાજ આપતી હતી. MCLRમાં કર્યો ઘટાડો
ઉપરાંત, એસબીઆઇએ તમામ ટર્મ લોન પર માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેસ્ડ લેન્ડિંગ રેટ (MCLR) માં 0.35% ઘટાડવાની જાહેરાત કરી છે. એટલે કે, ગ્રાહકોને સસ્તામાં લોન મળશે. એસબીઆઈએ એક વર્ષની લોન પરના વ્યાજના દરને 7.75 ટકાથી ઘટાડીને 7.40 ટકા કરી દીધા છે.