દિલ્હી હાઈકોર્ટે બુધવારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI ને ઉદ્યોગપતિ અનિલ અંબાણીની કંપનીઓ - રિલાયન્સ ટેલિકોમ, આરકોમ અને રિલાયન્સ ઇન્ફ્રાટેલના ખાતાઓ પર સ્થિરતા જાળવવા નિર્દેશ આપ્યો હતો, જેને બેન્કો દ્વારા છેતરપિંડી વાળા ખાતા તરીકે જાહેર કરાયા છે. આ ત્રણેય કંપનીઓના તત્કાલીન ડિરેક્ટર વતી દાખલ અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ નિર્દેશ આપ્યો છે.
જસ્ટિસ પ્રતીક જલાને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને આ નિર્દેશ જારી કર્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા RBI ના 2016 ના પરિપત્રને આ કંપનીઓના ડિરેક્ટર દ્વારા પડકારાયો હતો. આ ખાતાઓને છેતરપિંડી વાળા ખાતા તરીકે જાહેર કર્યાના પગલે પડકાર અપાયો હતો.
આ પરિપત્ર ન્યાયના પ્રાકૃતિક સિદ્ધાંતોની વિરુદ્ધ : અરજીકર્તા
અરજીમાં જણાવાયું છે કે RBI દ્વારા જાહેર કરાયેલા આ પરિપત્રમાં બેન્કોને ખાતાધારકને કોઈ પૂર્વ માહિતી અથવા માહિતી આપ્યા વિના ખાતાને છેતરપિંડી તરીકે જાહેર કરવાની મંજૂરી આપવામાં આવી છે, જે ન્યાયના પ્રાકૃતિક સિદ્ધાંતો વિરુદ્ધ છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, પરિપત્ર વિરુદ્ધ વર્ષ 2019 થી આવી જ અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે અને તે કેસમાં અરજદારોને પણ હાઈકોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે.
ત્યારબાદ હાઈકોર્ટે SBI ને ત્રણેય કંપનીઓના ખાતા અંગેની આગામી સુનાવણી સુધી યથાવત્ સ્થિતિ જાળવવા નિર્દેશ આપ્યો હતો. આ કેસમાં ભારતીય રિઝર્વ બેંક અને અન્ય તમામ સંબંધિત પક્ષોને 11 જાન્યુઆરી સુધીમાં જવાબ આપવા કહેવામાં આવ્યું છે. આ કેસની આગામી સુનાવણી 13 જાન્યુઆરીએ થશે.