મહામારીના સમયમાં ગુજરાતમાં શિક્ષણનો ખુલ્લો વેપલો ચાલી રહ્યો છે, કરોડો રૂપિયાનો 'વેપાર' કરતી શાળાઓ સામે સરકાર માત્ર તમાશો જોઈ રહી છે.
વાલીઓની લૂંટતી શાળાઓ : તમાશો જોતી ગુજરાત સરકાર
25 ટકા ફી ઘટાડીને કર્યો ઉપકાર પણ સ્કૂલોને થાય છે 75 ટકા બચત
50 ટકા ફી માફી કેમ નહીં?
25% ફી માફ કરાવીને સરકારે વાહવાહી લૂંટી, પણ તેમાંય ફાયદો તો શાળાઓને જ થયો હતો
ગુજરાત સહિત આખા દેશમાં મહામારીના કારણે મધ્યમ વર્ગને ફટકો પડ્યો છે. વાયરસના કારણે સૌથી વધારે પીડાતા હોય તો તે ગરીબ અને મધ્યમ વર્ગ જ છે. પહેલા મેડિકલ માફિયાઓએ લોકોને લૂંટયા અને હવે શિક્ષણને વેપાર બનાવીને બેસનારી શાળાઓને ઉઘાડી લૂંટ ચલાવવા માટે ગુજરાત સરકારે ખુલ્લુ મેદાન આપી દીધું છે. કોરોના વાયરસના કારણે શાળાઓ તો બંધ છે, છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. સરકારે શાળાઓ માટે જે ખર્ચ નક્કી કર્યા છે તેમાં જ 16માંથી 12 ખર્ચા તો કોરોનાકાળમાં થયા જ નથી. એટલે કે આટલા સમયમાં શાળાઓએ 75% ખર્ચા તો બચી ગયા. તેની સામે ગયા વર્ષે સરકારે 25% ફી માફી કરાવીને વાહવાહી લૂંટી. જોકે તેમાં વાલીઓ કરતાં શાળાઓને વધારે ફાયદો હતો. હવે જ્યારે ફરીથી પ્રવેશ શરૂ થઈ રહ્યા છે ત્યારે પણ શાળાઓ દ્વારા હજ્જારો રૂપિયા ફી માંગવામાં આવી રહી છે અને શિક્ષણમંત્રી પોતે કહી રહ્યા છે કે ફી ઘટાડા પર સરકારમાં કોઈ વિચારણા નથી.
શાળાઓને 12 મુદ્દામાં ખર્ચો તો થતો જ નથી, તો ફી શેની?
કોરોના કાળમાં સ્કૂલો બંધ છે ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. સ્કૂલોના માટાભાગના ખર્ચા બંધ હોવા છતાં શાળાઓ વાલીઓ પાસેથી મનફાવે તેટલી ફી લૂંટી રહી છે. FRC એક્ટમાં સ્કૂલ ખર્ચના 16 મુદ્દાને ધ્યાને લઈને ફી નક્કી કરવામાં આવતી હોય છે જોકે કોરોના કાળ દરમિયાન 12 મુદ્દા એવા છે જેમાં સ્કૂલોને કોઈ ખર્ચ નથી થઈ રહ્યો. તેમ છતાં વાલીઓ પાસેથી રૂપિયા લૂંટવામાં આવી રહ્યા છે.
સ્કૂલના ખર્ચા ઘટ્યા હોવા છતા પણ વાલીઓ પાસેથી સંપૂર્ણ ફી વસૂલાય છે
ગુજરાતની કેટલીક સ્કૂલોએ સ્કૂલ સ્ટાફ ઘટાડી દીધો છે અને કેટલીક સ્કૂલોએ સ્ટાફના પગાર પર પણ કામ મૂક્યો છે. આ તમામ ખર્ચ ઘટવાથી સ્કૂલોને 75 ટકાની બચત થઈ રહી છે. તેમ છતાં વાલીઓને માત્ર 25 ટકા ફી માફી આપીને સરકારે મોટો ઉપકાર કર્યો હોય તેમ વાહવાહી લૂંટી રહી છે. નમાલી સરકારને સંચાલકોની કટકીના નાણા સામે વાલીઓનું હિત નથી દેખાતું. વાલીઓના નોકરી ધંધા બંધ છે તે પણ સરકાર નથી જોઈ શકતી. એવું નથી સરકાર જોવા નથી માગતી.
ગુજરાત સરકારની કોઈ દાનત નથી કે વાલીઓને મળે રાહત
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ ગઈકાલે સ્પષ્ટતા કરી હતી કે ફી ઘટાડવા અંગે હાલ કોઈ વિચારણા નથી. ખુદ શિક્ષણ મંત્રી જ આવી વાતો કરી રહ્યા હોય તો સ્કૂલો તો ફી ઘટાડવાથી રહી. એટલે કે સરકારમાં ઈચ્છાશક્તિ જ નથી કે ફી ઘટે અને વાલીઓને કોરોનાકાળમાં થોડી રાહત મળે.
સળગતા સવાલ:
શાળાઓનો તમામ ખર્ચ ઘટ્યો હોવા છતાં વાલીઓને 50 ટકા ફી માફી માગનો સ્વીકાર કેમ નહી?
વાલીઓના ધંધા-રોજગાર બંધ છે તે સરકારને નથી દેખાતું?
નિયમિત ખર્ચમાં 75 ટકા બચત છે તો 50 ટકા ફી માફી કેમ નહીં?
સરકાર ઈચ્છાશક્તિ ધરાવતી હોય તો નવા સત્ર માટેની ફીમાં ઘટાડો ન થઈ શકે?
શું ગુજરાતમાં શિક્ષણ એક બિઝનેસ બની ગયો છે?
ફી ઘટાડવા અંગે સરકારમાં ઈચ્છાશક્તિનો અભાવ?
સરકાર સ્કૂલ સંચાલકો સામે કેમ છે નરમ?
ભૂપેન્દ્રસિંહે પણ ફી ઘટાડવા અંગે કોઈ વિચારણા ન હોવાનું જણાવ્યું