જનતા દળના નેતા પ્રશાંત કિશોરે ભાજપની હાર પર નિવેદન આપતા કહ્યું કે નરેન્દ્ર મોદી દેશના સૌથી લોકપ્રિય નેતા છે. ત્રણ રાજ્યોમાં ભાજપની થયેલી હાર એ ખતરાની ઘંટી સમાન નથી.
વર્ષ 2014માં ચૂંટણી દરમિયાન મહત્વની ભૂમિકા ભજવનારા પ્રશાંત કિશોરે કહ્યું કે મને વિશ્વાસ છે કે ભાજપ રામ મંદિરને મુદ્દો બનાવ્યા વગર જ ચૂંટણી જીતી શકે છે.
ભાજપે આગામી ચૂંટણીમાં જીત માટે પોતાના વિકાસના મુદ્દા પર ધ્યાન રાખવું જોઈએ. બિહારમાં જેડીયુ અને ભાજપની ગઠબંધનની સરકાર છે. પ્રશાંત કિશોર ભાજપની રાજસ્થાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં થયેલી હારને લઈને ટિપ્પણી કરી રહ્યા છે.
તાજેતરમાં યોજાયેલી ચૂંટણીને વર્ષ 2019ની સેમીફાઈનલ ગણવામાં આવી રહી છે. ભાજપ આ ચૂંટણી માટે હવે રામ મંદિરને મુખ્ય મુદ્દો બનાવશે. ત્યારે પ્રશાંત કિશોરનું કહેવું છે કે ભાજપ કહી ચૂકી છે કે રામ મંદિર નિર્માણનો મુદ્દો રાજકીય નથી પરંતુ આ એક આસ્થાનો વિષય છે.
ભાજપ ભલે એટલી શક્તિશાળી દેખાતી ના હોય કે જેવી 2014માં હતી. પણ આજે તે તેનાથી પણ વધુ શક્તિશાળી પાર્ટી છે.
પ્રશાંત કિશોરે કહ્યું કે હું સમજુ છું કે અત્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચૂંટણી યોજાશે. અમે લોકો ગઠબંધનમાં છીએ અને ઘણા મુદ્દાઓમાં સમાન છે.