રાફેલ ડીલની તપાસને લઇને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસે રાફેલ ડીલમાં કોઇ શંકા નહી હોવાનું જણાવ્યું છે.
ચીફ જસ્ટીસે કહ્યું કે રાફેલની ક્ષમતા પરકોઇ શક નહીં. જ્યારે રાફેલની પ્રક્રિયામાં કોઇ ગેરરીતિ નહી તેમ પણ જણાવ્યું છે. રાફેલ ડીલ પર ચીફ જસ્ટીસે કહ્યું કે મૂલ્ય અને જરૂરિયાત અમારા ધ્યાનમાં છે. 126ના બદલે 36 વિમાન લેવાના નિર્ણય પર પ્રશ્નાર્થ બિનજરૂરી છે.
રાફેલની કિંમત જોવા એ કોર્ટનું કામ નહીં. આમ રાફેલ ડીલને લઇને કરાયેલી તમામ અરજીઓ ફગાવી દેવામાં આવી છે. રાફેલ ડીલને લઇને કેન્દ્ર સરકારના નિર્ણ પર શંકા કરવા યોગ્ય નહીં તેમ ચીફ જસ્ટીસે જણાવ્યું.
આમ હવે રાફેલ ડીલ મામલે કોઇ તપાસ થશે નહીં. આ મામલે કોંગ્રેસ આક્ષેપ કરતી આવી છે કે રાફેલ ડીલમાં કરોડોનું કૌભાંડ આચરાયું છે.
સુપ્રીમે કહ્યું કે આ ડીલમાં એવું કોઇ પણ કારણ નજરે પડતું નથી કે સુપ્રીમ કોર્ટે કાનૂની રીતે આ મામલામાં હસ્તક્ષેપ કરવો પડે. કોર્ટે રાફેલ ડીલમાં તમામ પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું છે અને તેના વેપારી પાસા અંગે પણ કોઇ પ્રકારની હેરાફેરી થઇ નથી.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં વધુમાં જણાવ્યું છે કે રાફેલ ડીલની કોઇ તપાસ થશે નહીં. ઓફસેટ પાર્ટનરની પસંદગીમાં પણ કોઇ પક્ષપાત દાખવવામાં આવ્યો હોવાના પુરાવા મળ્યા નથી. અમે કોઇ અટકળ કે ધારણા પર ચુકાદો આપી શકીએ નહીં.
મુખ્ય ન્યાયમૂર્તિએ કોઇ પણ પ્રકારની શંકા હોવાની શકયતાને નકારી કાઢતાં કહ્યું હતું કે આ ડીલ પર કોઇ શંકા નથી અને વિમાન આપણા દેશની જરૂરિયાત છે.
અમે આ સોદાની પ્રક્રિયાને લઇને સંતુષ્ટ છીએ અને શંકા કરવા માટે અમને કોઇ કારણ જણાતું નથી. સુપ્રીમ કોર્ટ માટે એ યોગ્ય નથી કે તે એક એપેલેટ ઓથોરિટી બની અને તમામ પાસાઓની તપાસ કરે. અમને કંઇ પણ એવું મળ્યું નથી કે જેના પરથી લાગે કે કોઇ કોમર્શિયલ પક્ષપાત થયો છે.