કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ નવા કાયદાઓના કારણે ભાજપના ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે એવામાં ગૃહમંત્રી અમિત શાહે હરિયાણા સરકારે ખેડૂતોને લગતા કાર્યક્રમ રદ કરવા કહ્યું છે.
હરિયાણામાં કૃષિ કાયદાનો જોરદાર વિરોધ
અમિત શાહે હરિયાણા સરકારને આપી દીધી સલાહ
કૃષિ કાયદાના સમર્થનમાં કાર્યક્રમ ન કરો તેવી સલાહ
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં હાલમાં જ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના કાર્યક્રમમાં તોડફોડ કરવામાં આવી હતી જે બાદ ગૃહમંત્રી અમિત શાહે હરિયાણા સરકારને સલાહ આપી છે કે તે કૃષિ કાયદાના સમર્થનમાં કોઇ કાર્યક્રમ કરવાથી બચે. આ વાતની જાણકારી હરિયાણાના શિક્ષણ મંત્રી કવર લાલ ગૂર્જરે આપી છે. ગૂર્જરે કહ્યું કે ગૃહમંત્રીએ આવા કાર્યક્રમ કરવાની ના પાડી છે.
તેમણે કહ્યું કે અમિત શાહ તરફથી આ સલાહ કરનાલ પાસે આવેલા ગામમાં થયેલ ઘટના બાદ આપવામાં આવી છે. નોંધનીય છે કે ખટ્ટરના કાર્યક્રમમાં તોડફોડના કારણે તેમણે બેઠક રદ્દ કરવી પડી હતી અને હેલીપેડ ખોદી દેવામાં આવ્યા હતા. મંચ તોડી નાખવામાં આવ્યો હતો.
ગૂર્જરે કહ્યું કે જે કઈં પણ થયું તે બાદ ગૃહમંત્રીએ સરકારને સલાહ આપી છે કે સરકાર ખેડૂતો સાથે ટકરાવ ન વધારે. ગૂર્જરે વધુમાં કહ્યું કે ખેડૂતોએ જે વ્યવહાર કર્યો તે ખોટો હતો. મોબાઈલ ફૂટેજમાં ખેડૂતો મંચ પર ચડીને ધમાલ મચાવી તેવું દેખાઈ રહ્યું છે. ખેડૂતોએ પોસ્ટર ફાડી દીધા અને બેનર ફાડી દીધા અને મંચ પર ખુરશીઓ ફેંકી. સીએમ ખટ્ટરે પાછા જતાં રહેવું પડ્યું.
નોંધનીય છે કે કૃષિ કાયદાઓના કારણે હરિયાણામાં ચાલી રહેલી ગઠબંધન સરકાર પણ ખતરામાં છે તેવી અટકળો સામે આવી છે. ભાજપને સમર્થન આપી રહેલા જનનાયક જનતા પાર્ટીના ધારાસભ્યો હવે ખેડૂત આંદોલનના સમર્થનમાં આવી ગયા છે અને શક્યતા છે કે હરિયાણામાં દુષ્યંત ખૂબ જલ્દી મોટો નિર્ણય લઈ શકે છે.