દેશમાં કોરોના વાયરસ ટોપ ગિયરમાં છે. જૂન મહિનાની શરૂઆતથી જ કોરોના વાયરસના કેસમાં રેકોર્ડજનક વધારો થઇ રહ્યો છે ત્યારે કેટલાક રાજ્યોમાં કોરોનાની પરિસ્થિતિ વધુને વધુ વણસી રહી છે ત્યારે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનલોક-1 કર્યા બાદ ફરીથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક કરવાના છે. આ બેઠકમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરવામાં આવશે.
બે દિવસમાં બે બેચમાં પીએમ મોદીની મેરેથોન બેઠક
લોકડાઉન નહીં પણ કોરોના રોકવાના નિર્ણયો પર ભાર આપી શકે PM
જે રાજ્યોમાં સ્થિતિ વધુ ખરાબ તેમને દિશા-નિર્દેશ આપી શકે છે PM
મુખ્યમંત્રીઓ સાથે પીએમ મોદીની મેરેથોન બેઠક
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીવાર વિવિધ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવાના છે. દેશમાં જે રીતે કોરોના વાયરસ વધી રહ્યો છે તેને જોતા સ્વાભાવિક છે કે કોરોનાના સંક્રમણને નાથવા માટે શું કરી શકાય તે મુદ્દે ચર્ચા કરવામાં આવશે. મુખ્યમંત્રીઓ સાથે પીએમ મોદી મેરેથોન બેઠક કરવાના છે ત્યારે દેશમાં લોકડાઉન લાગશે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે પરંતુ હે પ્રકારે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીએ અવારનવાર સ્પષ્ટતા કરી છે અને ગૃહમંત્રાલયે પણ જે નિવેદન આપ્યા છે તે બાદ સ્પષ્ટ છે દેશવ્યાપી લોકડાઉન શક્યતા નથી.
આ નિર્ણયો પર ચર્ચા
લોકડાઉન તો લાગુ થઇ શકે તેમ નથી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ મુખ્યમંત્રીને આદેશ આપી શકે છે કે સંક્રમણ રોકવા માટે કડક પગલાં ભરે. ધ ઈકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ અનુસાર સરકારના ટોપના એક અધિકારીએ જણાવ્યું કે કોરોના વાયરસના સંક્રમણ સામે જંગ લડવા વડાપ્રધાન નરેન્દ્ર મુખ્યમંત્રીઓને સામાજિક અંતર જાળવવા, ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતીનું પાલન કરાવવા માટે આગ્રહ કરશે. આ સિવાય શહેરી વિસ્તારોમાં જ્યાં કન્ટેન્મેન્ટ ઝોન હોય ત્યાં ડૉર ટૂ ડૉર સ્ક્રીનીંગ કરવા માટે કહેવામાં આવી શકે છે.
ટેસ્ટિંગ મુદ્દે લેવાશે મોટા નિર્ણયો
નોંધનીય છે કે કોરોના વાયરસના કારણે અમુક રાજ્યોમાં હાહાકાર મચી રહ્યો છે અને કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે એવામાં આ રાજ્યોમાં વધુ ટેસ્ટિંગ કરવા માટે પણ પીએમ મુખ્યમંત્રીઓને કહી શકે છે. નોંધનીય છે કે માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક બે તબક્કામાં કરવામાં આવશે જેમાં જે રાજ્યોમાં પ્રભાવ ઓછો છે તેને બીજી બેચમાં રાખવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના સામે લડવા મુખ્યમંત્રીઓને તેમનો પ્રતિભાવ આપવા કહેશે જેથી એક કોમન રણનીતિ બનાવી શકાય. અધિકારીના જણાવ્યા અનુસાર જેમ પંજાબમાં સપ્તાહના અંતમાં લોકડાઉન અને રાજસ્થાન દ્વારા બોર્ડર સીલ કરવામાં આવી છે તેમ જ રાજ્યોને તેમની પરિસ્થિતિ અનુસાર નિર્ણયો લેવાની છૂટ આપવામાં આવશે.