રેલવે વિભાગે મોટો નિર્ણય લીધો છે, કોરોના વધતા મોટા શહેરો માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ રેલવે વિભાગનો મહત્વનો નિર્ણય
રેલવેની પ્લેટફોર્મ ટિકિટ પર પ્રતિબંધ મુકાયો
30 એપ્રિલ સુધી પ્લેટફોર્મ ટિકિટ પર મુકાયો પ્રતિબંધ
કોરોનાના કેસ વધવાને કારણે અમદાવાગ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અમદાવાદ સહિત, વડોદરા, રાજકોટ સહિતના ગુજરાતના શહેરોમાં પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ 30 એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવ્યુ છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 4541 કેસ નોંધાયા છે અને 2280 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,09,626 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
આજે 42 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યમાં 42 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4697 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 187 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 22,692 પર પહોંચ્યો છે.
એક સમયે આખા ગુજરાતમાં નહોતા આવતા એટલા કોરોનાના કેસ માત્ર અમદાવાદમાં
નોંધનીય છે કે, કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં સમગ્ર રાજ્યમાં 200-300 કેસથી થઇ હતી, તો એક્ટિવ કેસનો આંકડો પણ 1000 આસપાસ આવી પહોંચ્યો હતો પરંતુ ત્યારબાદ સ્થિતિ વણસણતા મહાનગરોમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ કફોડી છે. ગણતરીના દિવસો પહેલા સમગ્ર રાજ્યમાં જેટલા કેસ નોઁધાતા હતા તેટલા કેસ આજે માત્ર અમદાવાદમાં નોંધાયા છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 1296 કેસ અને ગ્રામ્યમાં 20 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 891 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 213 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 265 કેસ, જ્યારે ગ્રામ્યમાં 141 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 340 કેસ અને ગ્રામ્યમાં 70 કેસ નોંધાયા છે.
ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...