કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં હજારોની સંખ્યામાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને તેમાં એવા આરોપો લાગી રહ્યા છે કે આ કાયદાથી અંબાણી અને અદાણીને મદદ થવાની છે ત્યારે રિલાયન્સ કંપની હવે ખૂલીને મેદાનમાં આવી છે.
કંપનીએ આ ઘટનાઓ પાછળ બિઝનેસના દુશ્મનોનો હાથ હોવાનું કહ્યું
કૉન્ટ્રૅક્ટ ફાર્મિંગ પર પણ કંપનીએ આપી સ્પષ્ટતા
ભારતમાં કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી અને આસપાસના વિસ્તારમાં હજારોની સંખ્યામાં ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહયું છે અને આ આંદોલનમાં એવા આરોપો પણ લાગી રહ્યા છે કે કાયદાના કારણે એમએસપી સમાપ્ત થઈ જશે જેના કારણે અંબાણી અને અદાણીને ખૂબ ફાયદો થવાનો છે. આ આરોપોના કારણે પંજાબમાં તો જિયોના ટાવરમાં ખૂબ તોડફોડ પણ કરવામાં આવી હતી. જે બાદ હવે રિલાયન્સ સામે આવી છે અને હાઇકોર્ટમાં આ ઘટના સામે સુરક્ષાને લઈને અરજી કરી છે. આ સિવાય કંપનીએ એમ પણ સ્પષ્ટતા કરીને તેમનો કૉન્ટ્રૅક્ટ ફાર્મિંગ કરવાનો કોઇ ઇરાદો જ નથી. કંપનીએ કહ્યું કે કયારેય ખેડૂતોથી સીધું જ અનાજ પણ લેવામાં આવ્યું નથી.
કંપની પર લાગતાં આરોપો પર કરી સ્પષ્ટતા
રિલાયન્સ કંપની દ્વારા ચોથી જાન્યુઆરીના રોજ એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે જેમાં કંપનીએ લાગતાં આરોપો પર સ્પષ્ટતા કરી છે કે કંપનીનો કૉન્ટ્રૅક્ટ કે પછી કૉર્પોરેટ ફાર્મિંગમાં આવવાનો કોઇ જ ઇરાદો કે પ્લાન નથી. કંપનીએ એમ પણ કહ્યું જે આજ સુધી ક્યારેય કૉન્ટ્રૅક્ટ કે પછી કૉર્પોરેટ ફાર્મિંગ માટે એક પણ જમીન પણ લેવામાં આવી નથી.
ખેડૂતો પાસેથી સીધું જ અનાજ તો ક્યારેય લીધું જ નથી : કંપની
RIL દ્વારા સફાઇ આપવામાં આવી છે કે કંપનીએ ક્યારેય ખેડૂતો પાસેથી સીધું જ અનાજ લીધું નથી અને સપ્લાયર દ્વારા MSP પર જ અનાજ લેવામાં આવે છે. અમે સપ્લાયરને કહીશું કે તેઓ ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર જ અનાજ ખરીદે અને તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલ ધારાધોરણનું પાલન કરે. કંપનીએ કહ્યું કે કંપની જેમની પાસેથી અનાજ લે છે તે સપ્લાયરે ક્યારેય પણ ન્યૂનતમ સમર્થન મૂલ્યની નીચેની કિંમત ખરીદ્યું નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય આવું કરવામાં આવ્યું નથી. ખેડૂતો પાસેથી અનુચિત લાભ લેવા માટે કંપનીએ કોઇ પણ પ્રકારનાઆ કૉન્ટ્રૅક્ટ ક્યારેય કર્યા નથી.
હાઇકોર્ટમાં કરી અરજી
નોંધનીય છે કે પંજાબમાં ખેડૂતોના આંદોલનની વચ્ચે રિલાયન્સની સંપત્તિમાં તોડફોડ કરવામાં આવી રહી છે ત્યારે કંપનીએ એક અરજી પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં કરી છે. સંચાર માધ્યમોના ઉપકરણો પર થયેલા હુમલાને લઈને આ અરજી કરવામાં આવી છે. કંપનીએ આ અરજીમાં માંગ કરી છે કે હાઇકોર્ટ દ્વારા કંપનીના કર્મચારી અને સંપત્તિની સુરક્ષા માટે આદેશ આપે. કંપનીએ એમ પણ કહ્યું કે તોડફોડ કરવામાં બિઝનેસના અમુક પ્રતિદ્વંદીનો હાથ પણ હોઇ શકે છે.
બિઝનેસના પ્રતિસ્પર્ધીઓનું હિત હોવાનું સામે આવ્યું
નોંધનીય છે કે પંજાબમાં જ 1500 જેટલા મોબાઈલ ટાવર પર હુમલાઓ કરવામાં આવ્યા જે બાદ કંપની દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. નવેમ્બર મહિનામાં રિલાયન્સ ફ્રેશના સ્ટોર પણ બંધ કરાવવામાં આવ્યા હતા. કંપનીએ કહ્યું છે કે આ ખેડૂત આંદોલનની આડમાં બિઝનેસના અમુક દુશ્મનો તેમનું હિત સાધવામાં લાગી ગયા છે અને આ પ્રકારની હરકતોને હવા આપી રહ્યા છે.