લોકસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. બંને પક્ષો એડીચોડીનું જોર લગાવી રહ્યા છે ત્યારે વિધાનસભાના ઉપદંડક આર.સી પટેલે નવસારીમાં વિવાદિત નિવેદન આપ્યુ છે.
પોતાના વિવાદિત નિવેદનમાં આર.સી પટેલે ભાજપ કરતા કોંગ્રેસે કોળી સમાજને વધુ પ્રતિનિધિત્વ આપ્યું હોવાની વાતનો ઉલ્લેખ કર્યો. તેમજ સમાજની નિર્બળતાને કારણે અન્ય લોકો મુખ્ય હોદ્દા પર છે.
કોળી સમાજને લઇને વધુમાં ભાજપના ધારાસભ્યએ જણાવ્યું કે, નવસારી બેઠકનો ઉમેદવાર કોળી સમાજનો જ હોવો જોઈએ. આ ઉપરાંત રાજકારણમાંથી કોળીને હટાવવાની કોઈના બાપની તાકાત નથી તેમ આર.સી.પટેલે કહ્યુ હતુ. મહત્વનું છે કે, આર.સી.પટેલ ભાજપના નવસારીના ધારાસભ્ય છે.
તમને જણાવી દઇએ કે, નવસારી લોકસભા બેઠક માટે સિટિંગ સાંસદ સી.આર.પાટિલ સામે જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલ અને ભાજપના ઉપાધ્યક્ષ પીવીએસ શર્માએ ટિકિટ માટે મજબૂત દાવેદારી કરી છે.
ધારાસભ્ય આર.સી.પટેલે પોતે ટિકિટ માંગી નથી, પરંતુ જલાલપોર વિધાનસભાના કાર્યકરો અને આગેવાનોએ એકસૂરમાં કોળી ઉમેદવારને ટિકિટ આપવાની માંગણી કરી છે, જ્યારે સુરત ભાજપના ઉપપ્રમુખ પીવીએસ શર્માએ ટિકિટની માંગણી કરતા નવસારી બેઠક પર હવે ત્રિપાંખિયો જંગ ઊભો થયો છે.