નવી દિલ્હી: દેશમાં દર વર્ષે મોટા પ્રમાણમાં કિડની રોગ સાથે જોડાયેલી ઘટના વધી રહી છે. સમગ્ર દેશમાં કિડની પ્રત્યારોપણની દર વર્ષે 8થી 10 હજાર સર્જરી થાય છે. દર વર્ષે લગભગ 1 લાખ લોકોને કિડની પ્રત્યારોપણની જરૂર હોય છે. તેને જોતાં કૃત્રિમ કિડની બનાવવા પર સંશોધન ચાલી રહ્યું છે. ભારતમાં પ્રત્યારોપણ માટે આગામી પાંચ વર્ષમાં કૃત્રિમ કિડની દર્દીઓ માટે ઉપલબ્ધ બનશે, તેનાથી કિડની ફેલ થવાથી મૃત્યની ઘટનાઓમાં ઘટાડો થશે.
સમગ્ર દેશમાં કિડની પ્રત્યારોપણની દર વર્ષે 8થી 10 હજાર સર્જરી થાય છે
કૃત્રિમ કિડની બનાવવાની કવાયત ચાલી રહી છે
કૃત્રિમ કિડની સામાન્ય કિડનીની જેમ જ કામ કરશે
યુરોલોજિસ્ટ ડોક્ટર સંજય ગર્ગે એક સંમેલન દરમિયાન આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે કોઇ પણ વ્યક્તિની કિડની ખરાબ થાય તો તેને સંપૂર્ણ રીતે સ્વસ્થ થવા માટે કિડની પ્રત્યારોપિત કરવી પડે છે. દેશમાં સામે આવતી એવી ઘટનાઓ માટે કિડનીની પર્યાપ્ત ઉપલબ્ધતા નથી. આ માટે દર્દીઓએ ઘણી રાહ જોવી પડે છે. આવા સંજોગોમાં ઘણી વાર દર્દીઓ મૃત્યુ પણ પામે છે. આ માટે કૃત્રિમ કિડની બનાવવાની કવાયત ચાલી રહી છે.
અમેરિકામાં તેના પર ઘણું સંશોધન થયું છે. કૃત્રિમ કિડની તૈયાર થઇ છે, જેનું પરીક્ષણ ચાલી રહ્યું છે. કિડનીને શરીરના નીચેના ભાગમાં પ્રત્યારોપિત કરાશે. તે સામાન્ય કિડનીની જેમ જ કામ કરશે. તેને બનાવવામાં એવા પદાર્થોનો ઉપયોગ કરાયો છે, જે શરીરને બિલકુલ નુકસાન નહીં પહોંચાડે. શરૂઆતમાં તેની કિંમત મોંઘી હોઇ શકે છે. તે 15થી 20 લાખ રૂપિયાની વચ્ચે પડશે. કૃત્રિમ કિડનીથી ડાયાલિસિસ પણ સરળ બની જશે.