ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસને લઇને ગુજરાત સરકારે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરમાં નાઇટ કર્ફ્યૂ લગાવ્યું છે. આ કર્ફ્યૂનો સમય રાત્રે 9 કલાકથી સવારે 6 કલાકનો છે. તો લગ્ન પ્રસંગો યોજવાને લઇને પણ સરકારે કેટલાક કડક નિયમો બનાવ્યા છે ત્યારે રાજકોટ પોલીસે લગ્ન પ્રસંગ યોજવાને લઇને એક જાહેરનામું બહાર પાડ્યું હતું.
લગ્ન પ્રસંગને લઇ પોલીસે બહાર પાડ્યુ જાહેરનામુ
હવે દિવસે યોજાતા લગ્ન માટે નહીં લેવી પડે પોલીસની મંજૂરી
લગ્નમાં સામેલ લોકોએ રાત્રે 9 વાગ્યા પહેલા ઘરે પહોંચવું પડશે
ઉલ્લેખનીય છે કે, રાજકોટ ડેપ્યુટી પોલીસ કમિશનરે નિર્ણય લીધો કે સવારે 6થી રાત્રે 9 કલાક સુધી યોજાતા લગ્ન સમારહો માટે કોઈ મંજૂરી લેવાની જરૂર નથી. આ અંગેની જાણકારી તેમણે એક પત્રકાર પરિષદ યોજીને આપી હતી અને સત્તાવાર રીતે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારે લીધો છે નિર્ણય
નોંધનીય છે કે, રાજ્ય સરકારે કોરોના વાયરસના વધી રહેલા કેસને લઇને નિર્ણય કર્યો હતો કે લગ્ન સમારહોનું આયોજન કરવા માટે પોલીસની મંજૂરી જરૂરી છે. કમિશનરે કહ્યુ કે, લગ્નમાં નિયમ પ્રમાણે 100 વ્યક્તિઓને બોલાવી શકાશે.
ગુજરાતમાં સતત ત્રીજા દિવસે 1500થી વધુ કેસ
દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના કેસમાં મોટા પાયે ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સ્થિતિ પશ્ચિમ વિસ્તારમાં વધુ વણસી છે કારણ કે, શહેરના મોટાભાગના કેસ અહીં નોંધાયા છે. ત્યારે આજરોજ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોનાના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 1560 કેસ નોંધાયા છે.
નોંધનીય છે કે, કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1302 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,85,0558 પર પહોંચ્યો છે. આજે 16 દર્દીઓના કોરોનાને કારણે મોત થતાં કુલ મૃત્યુઆંક 3922 પર પહોંચ્યો છે.
રાજ્યમાં હાલમાં 14529 એક્ટિવ કેસ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં 14529 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ 90.93 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 70,820 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 7,551,609 પર પહોંચ્યો છે. તો ચિંતાજનક વાત એ પણ છે કે, રાજ્યમાં છેલ્લા 6 દિવસ દરમિયાન 1500થી વધુ કેસ નોંધાયા હતા.
અમદાવાદ જિલ્લામાં 361 કેસ આવતા ચિંતા વધી
આજે અમદાવાદ શહેરમાં 337, અમદાવાદ જિલ્લામાં 24, સુરત શહેરમાં 231, સુરત જિલ્લામાં 58, વડોદરા શહેરમાં 140, વડોદરા જિલ્લામાં 40 , રાજકોટ શહેરમાં 87, રાજકોટ જિલ્લામાં 51,ગાંધીનગર શહેરમાં 34, ગાંધીનગર જિલ્લામાં 36 કોરોનાના કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, અમદાવાદ બાદ સુરતમાં કોરોનાને લઇને સ્થિતિ વધુ વણસેલી છે. છેલ્લા 5 દિવસ દરમિયાન આ બંન્ને શહેરોમાં 1700થી વધુ કેસ નોંધાતા સ્થાનિક તંત્ર વધુ એલર્ટ થયું છે.