પાર્કમાં સફારી અને રોકાણ માટે અધિકારીઓ અને ઉંચી લાગવગવાળા લોકોના ભલામણપત્રો તાત્કાલિક પરત મોકલવામાં આવશે. આટલું જ નહીં અધિકારીઓના પત્રો અંગે તેમના ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં આવશે કે, તેઓ અંગત ઉપયોગ કે કાર્ય માટે કોઈ પ્રકારે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી
રહ્યાં છે.
કેન્દ્ર સરકાર દ્વારા વીઆઈપી કલ્ચર પર કરવામાં આવેલા આકરા પ્રહારની અસર ઉત્તરાખંડનાં વિશ્વ વિખ્યાત કોર્બેટ નેશનલ પાર્ક પર પણ પડી છે. પાર્કમાં ‘વીઆઈપી રાજ’ હવે સમાપ્ત થઈ ગયું છે. હવે ઉત્તરાખંડ રાજ્ય અતિથિ નિયમાવલીના લિસ્ટ-એકમાં સામેલ બંધારણીય પદ પર રહેલા લોકોને બાદ કરતા અન્ય કોઈને પણ વીઆઈપી ટ્રિટમેન્ટ નહીં મળે.
આ અંગે કોર્બેટ નેશનલ પાર્કના ડાયરેક્ટર સંજીવ ચતુર્વેદીએ આદેશ જારી કરી દીધાં છે.
પાર્કમાં સફારી અને રોકાણ માટે અધિકારીઓ અને ઉંચી લાગવગવાળા લોકોના ભલામણપત્રો તાત્કાલિક પરત મોકલવામાં આવશે. આટલું જ નહીં અધિકારીઓના પત્રો અંગે તેમના ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં આવશે કે, તેઓ અંગત ઉપયોગ કે કાર્ય માટે કોઈ પ્રકારે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી
રહ્યાં છે.
કોર્બેટ નેશનલ પાર્કનું મેનેજમેન્ટ વીઆઈપી લોકોથી પરેશાન કેમ હતું?
વર્ષ 1936માં સ્થપાયેલા દેશના સૌથી જૂના કોર્બેટ નેશનલ પાર્કનું મેનેજમેન્ટ ઘણા લાંબા સમયથી વીઆઈપી લોકોના પ્રવાસથી પરેશાન હતું. સરકારી તંત્રથી લઈને રાજનેતાઓ તરફથી અવારનવાર કોર્બેટ પાર્કમાં સફારી સાથે વનવિશ્રામ ગૃહોમાં રોકાણ સહિતની અનેક વ્યવસ્થાઓ અને સુવિધાઓની માગણી કરવામાં આવતી હતી. પોતાના નજીકના સગાં-સંબંધીઓ માટે પણ અધિકારીઓ અને નેતાઓ ભલામણપત્ર લખતા રહેતા હોય છે.
હકીકતમાં પાર્કનાં અધિકારીઓનો મોટાભાગનો સમય ભલામણથી આવેલા આવા વીઆઈપી લોકોની ‘સરભરા’માં જ બરબાદ થતો હતો. હાલ એક તરફ પાર્કમાં સ્ટાફની અછત છે ત્યારે વીઆઈપી લોકો અને તેમની માગણીઓ પાર્કના અધિકારીઓ માટે માથાનો દુ:ખાવો બની ગયા હતાં. પાર્કનાં ડાયરેક્ટર તરફથી જારી કરવામાં આવેલા આદેશ અનુસાર, પાર્ક મેનેજમેન્ટની જવાબદારી ફક્ત આ સ્થળના વિકાસ અને સુરક્ષાની જ છે.
પાર્કમાં રોકાણની વ્યવસ્થા પારદર્શક છે. દેશના નાગરિક અથવા વિદેશી મહેમાનો વનવિશ્રામ ગૃહ માટે ઓનલાઈન બૂકિંગ કરાવી શકે છે. પાર્કની બહાર પણ ઘણી હોટલ અને રિસોર્ટ્સ આવેલા છે અને કોઈ પણ વ્યક્તિ તેની આર્થિક ક્ષમતા અનુસાર તેનો ઉપયોગ કરી શકે છે. નવા આદેશ અનુસાર હવે આ લોકો જ રાજ્યનાં અતિથિ ગણાશે આદેશ પ્રમાણે હવે ઉત્તરાખંડ સરકારના નવા નિયમો લાગુ કરી દેવાયા છે, જે અનુસાર રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, લોકસભા અધ્યક્ષ, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા, કેબિનેટ સચિવ, ત્રણેય સેનાનાં પ્રમુખ ઉપરાંત સરકારી કામથી ઉત્તરાખંડ આવ્યા હોય તેવા લોકોને જ રાજ્યનાં અતિથિનો દરજ્જો આપવામાં આવશે. બાકીના લોકોને સ્પેશિયલ ટ્રિટમેન્ટ મળશે નહીં.