કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્યતંત્રની સજ્જતાની જાતમાહિતી મેળવવા માટે CM રૂપાણી પહોંચ્યા દાહોદની મુલાકાતે. સમીક્ષા બેઠક બાદ લૉકડાઉનને લઈને આપ્યું મહત્વનું નિવેદન
દાહોદની મુલાકાતે પહોંચ્યા CM રૂપાણી
લૉકડાઉનને લઈને આપ્યું મહત્વનું નિવેદન
કહ્યું- રાજ્યમાં હાલ લૉકડાઉન લગાવવાની કોઇ જ જરૂર નહીં
દાહોદ પહોંચેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જિલ્લા વહીવટી તંત્ર સાથે વિસ્તૃત ચર્ચા કરી જિલ્લામાં કોરોનાની સ્થિતિ અને વહીવટી તંત્રની કામગીરી મુદ્દે મંથન કર્યું હતું.
ગુજરાતમાં હાલ લૉકડાઉન લાદવાની કોઇ જ જરૂર નહીં : CM
સ્થાનિક વહીવટી તંત્ર સાથે યોજાયેલ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા CM રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ લૉકડાઉન લાદવાની કોઇ જ જરૂર નથી. કારણ કે 20 શહેરોમાં નાઇટ કર્ફ્યુ, તમામ શૈક્ષણિક સંસ્થાઓ , મોલ્સ, થિયેટરો, જિમ કોરોનાના સંક્રમણ વધતા બંધ કરવામાં આવ્યા છે.
As of now, there is no need to impose a lockdown in the State as many restrictions like night curfew in 20 cities, closed all educational institutions, malls, theatres, gyms, recreation parks are in effect: Gujarat CM Vijay Rupani pic.twitter.com/L1dd6OXhK5
આ સાથે જ આગામી સપ્તાહમાં ૩૦૦ પથારીની સુવિધા ઉભી કરવાની જાહેરાત કરી છે. જેમાં દાહોદમાં ઝાયડ્સ હોસ્પિટલ ખાતે ૨૦૦ પથારી અને જિલ્લામાં ૧૦૦ વધારાની પથારી તમામ સુવિધા સાથે દર્દીઓ માટે વધારવામાં આવશે. એટલે, દાહોદમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે વધારાની ૩૦૦ પથારી આગામી એક સપ્તાહમાં વધી જશે.
લગ્નગાળામાં કોવિડ ગાઇડલાઇનનું ચોક્કસ પાલન થાય તેવું કર્યું સૂચન
મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં આગામી તા. 25, 26 અને 27ના રોજ મોટા પ્રમાણમાં લગ્નગાળો છે. તેમાં કોવિડની ગાઇડલાઇનનું પાલન થાય તે જોવાની જેતે વિસ્તારના પોલીસ સ્ટેશનને જવાબદારી સોંપવામાં આવી છે. જો લગ્નમાં નિયત કરતા વધુ ભીડ જોવા મળશે, તો જવાબદાર પોલીસ અધિકારી સામે પણ પગલાં લેવામાં આવશે.
CM રૂપાણીએ કહ્યું કે, દાહોદ જિલ્લામાં જે વિસ્તારોમાંથી વધુ કોરોનાના કેસો મળી આવે છે, ત્યાં ટેસ્ટ, ટ્રેસિંગ અને આઇસોલેટ કાર્યમંત્રને આધારે લોકસહકારથી ઘનિષ્ઠ આરોગ્ય ચકાસણીની ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. દર્દીઓને આરોગ્યલક્ષી દવાઓની કિટ્સ પણ આપવામાં આવશે. કન્ટેઇન્મેન્ટ ઝોનના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટેની સ્થાનિક પ્રશાસનને સૂચના આપવામાં આવી છે.
નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ના નીકળવા કરી અપીલ
આ સાથે જ એમ પણ જણાવ્યું કે દાહોદના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસોનું પ્રમાણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેથી, ગ્રામ્યકક્ષાએ સેવા આપતા તબીબો પણ કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરે તેવી કાર્યવાહી કરવા માટે તંત્રને સૂચના આપવામાં આવી છે. તેમણે દાહોદના નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ના નીકળવા અને સમયસર વેક્સીન લઇ લેવા અપીલ પણ કરી હતી. તેમણે જનપ્રતિનિધિઓને પણ લોકઆરોગ્યની સુરક્ષાના અભિયાનમાં જોડવવા માટે જણાવ્યું હતું.
દાહોદમાં સાડા ત્રણ લાખથી પણ વધુ કોવીડ ટેસ્ટ કરાયા
જે મુજબ દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ સાડા ત્રણ લાખથી પણ વધુ કોવીડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ટેસ્ટ પોઝિટિવીટી રેટ ૧.૧૦ ટકા છે. જયારે જિલ્લામાં કોવીડ દર્દીઓનો ડિચાર્જ રેટ ૮૯.૦૯ ટકા છે. કોરોના કેસો ડબલ થવાનો સમયગાળો ૧૫૩ દિવસ રહ્યો છે. જયારે કેસ ફેટાલીટી રેટ ૦.૧૬ છે. કોરોનાના કેસ દીઠ કરવામાં આવતા કોન્ટેક્ટ ટ્રેસીંગની સંખ્યા સરેરાશ ૨૦૬ છે. જે રાજયમાં સૌથી વધુ કોન્ટેક્ટ ટ્રેસીંગ રેશીયો પૈકીનો એક છે.
જ્યારે કોવીડનો કમ્પાઉન્ડ ડેઇલી ગ્રોથ રેટ ૧.૪૭ ટકા રહ્યો છે. પ્રતિ ૧૦ લાખ વ્યક્તિએ દૈનિક ધોરણે ૧૧૭૨ લોકોના ટેસ્ટ કરાઇ રહ્યાં છે. કોવીડની બીજી લહેરમાં દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટેસ્ટ, ટ્રેસ અને આઇસોલેટના કાર્યમંત્ર ઉપર કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા ૧૮ દિવસમાં આરોગ્ય વિભાગ દ્વારા ૫૬૬૪૭ લોકોનું સેમ્પલ કલેક્શન કરવામાં આવ્યું હતું. જેમાંથી પોઝિટિવીટી રેટ ૧.૨૫ ટકા રહ્યો છે.
જિલ્લામાં વહીવટી તંત્રની કામગીરી અંગેનો CM રૂપાણીને અપાયો રિપોર્ટ
જિલ્લાની ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પીટલ, અર્બન રળિયાતી હોસ્પીટલ, રેલ્વે હોસ્પીટલમાં કુલ ૪૩૬ બેડની કેપિસીટી છે. જયારે જિલ્લાની ૨૨ ખાનગી હોસ્પીટલમાં ૫૬૨ બેડની કેપિસીટી છે. જેમાંથી સરકારી હોસ્પીટલમાં કુલ ૧૨૯ આઇસીયુ બેડ અને ખાનગી હોસ્પીટલમાં ૯૧ આઇસીયુ બેડ એમ કુલ ૨૨૦ આઇસીયુ બેડ છે. તેમાંથી કુલ ૪૪ માં વેન્ટીલેટર અને ૩૭ માં બાઇપેપની સગવડ છે.
જિલ્લામાં ઉક્ત ત્રણ સરકારી હોસ્પીટલમાં ૨૪૪ ઓક્સીજન બેડ અને ખાનગી હોસ્પીટલમાં ૨૧૪ ઓક્સીજન બેડ એમ કુલ ૪૫૮ ઓક્સીજન બેડ છે. ઉપરાંત ઉક્ત સરકારી હોસ્પીટલમાં ૬૩ અને ખાનગી હોસ્પીટલમાં ૨૫૭ એમ કુલ ૩૨૦ નોર્મલ બેડ છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ૧૦ કોવીડ હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ૧૧૦ બેડ ઉપલબ્ધ છે. જયારે દાહોદ સહિત અન્ય તાલુકાઓના ૯ કોવીડ કેર સેન્ટરમાં ૬૩૮ બેડ ઉપલબ્ધ છે.