1999માં થયેલ કારગિલ યુદ્ધની યાદો આજે પણ દેશવાસીઓને હૃદયમાં છે. આપણા જવાનોની બહાદુરીની ચર્ચાઓ આજે પણ લોકોની જીભ પર છે. યુદ્ધ અંગેની ઘણી ઘટનાક્રમને આપણે જાણીએ છીએ. જો કે યુદ્ધને લઇને ઘણા ખુલાસા સમયાંતરે થતા રહે છે. ત્યારે ચંદીગઢ ખાતેના ત્રીજા મિલેટ્રી લિટરેચર ફેસ્ટિવલ દરમિયાન એક મોટો ખુલાસો સામે આવ્યો છે.
ચંદીગઢ ખાતેના ત્રીજા મિલેટ્રી લિટરેચર ફેસ્ટિવલ દરમિયાન મોટો ખુલાસો
કારગિલ યુદ્ધ દરમિયાન સેનાને જૂના બારૂદ મોકલવામાં આવ્યા
યુદ્ધ દરમિયાન મોટુ ટેન્શન ઉભુ થઇ ગયું હતું
1999માં સરહદ પર લડાયેલા કારગિલ યુદ્ધ દરમિયાન સેનાને જૂના બારૂદ મોકલવામાં આવ્યા હતા, જેને લઇને યુદ્ધની રણનીતિ દરમિયાન ગંભીર સમસ્યા ઉભી થઇ ગઇ હતી. પરંતુ અંતમાં એ નિર્ણય લેવામાં આવ્યો કે આ દારૂગોળાનો ઉપયોગ યુદ્ધ દરમિયાન કરવામાં આવશે નહીં.
આ સિવાય પણ કારગિલ યુદ્ધમાં જવાનોને આ સમયે હથિયાર અને ઉપકરણોની ખોટ વર્તાય હતી. તેમ છતાં જવાનોના મનોબળે આ જંગ જીતીને બતાવી હતી. ખરેખર તો કારગિલ યુદ્ધ પહેલા દેશના જવાનો માટે '130 એમએમ ખીંચા ફીલ્ડ ગન' માટે દારૂગોળો બહારથી આયાત કરવામાં આવ્યો હતો.
આયાત થયા બાદ ખબર પડી કે આ દારૂગોળો ઘણો જૂનો લગભગ 70ના દાયકાનો છે. જ્યારે બીજી તરફ યુદ્ધ શરૂ થઇ જતાં ફીલ્ડ ગન માટે દારૂગોળો સેનાને સોંપી દેવામાં આવ્યો. પરંતુ સેનાના અધિકારીઓને જ્યારે ખબર પડી કે આ દારૂગોળો જૂનો છે, તો યુદ્ધ દરમિયાન મોટુ ટેન્શન ઉભુ થઇ ગયું હતું.
ચંદીગઢ ખાતેના મિલેટ્રી લિટરેચર ફેસ્ટમાં સેનાના પૂર્વ આર્મી ચીફ જનરલ વીપી મલિકે આ અંગેનો ખુલાસો કરતા કહ્યું કે દારૂગોળો જૂનો હતો, જેને લઇને યુદ્ધમાં તેનો બહુ ઉપયોગ કરવામાં આવ્યો નહીં. આ જ રીતે બહારથી કેટલીક નવી તોપ મંગાવામાં આવી હતી, પરંતુ પછી ખબર પડી કે સપ્લાય નવી તોપો નહીં પરંતુ જૂની તોપોની હશે. એવામાં તેને પણ રદ્દ કરી દેવામાં આવી.