રમત નહીં તો પગાર નહીં. આ વર્ષે આઇપીએલમાં કરાર કરનારા ખેલાડીઓ સાથે પણ આવું થઈ શકે છે, કારણ કે અત્યારે આઈપીએલ મુલતવી રાખવામાં આવ્યું છે અને જ્યાં સુધી વર્ષના અંતમાં બીસીસીઆઈ તેની વૈકલ્પિક વિન્ડો તૈયાર નહીં કરે ત્યાં સુધી એલ યોજાય તેવી સંભાવના નથી.
કોરોનાના હાહાકાર વચ્ચે ક્રિકેટરો માટે ખરાબ સમાચાર
આઈપીએલ ક્યારે શરૂ થશે તેની હાલ કોઈ જાહેરાત નથી
ક્રિકેટરોને આ સંકટ સમયમાં ભોગવવું પડશે મોટું નુકસાન
આ પદ્ધતિથી થાય છે આઈપીએલમાં ચૂકવણી
આઈપીએલ ફ્રેન્ચાઇઝીના એક વરિષ્ઠ અધિકારીએ આઈપીએલમાં ખેલાડીઓને પૈસાની ચૂકવણી વિશે જણાવ્યું કે, 'ટૂર્નામેન્ટ શરૂ થયાના એક અઠવાડિયા પહેલા 15 ટકા પૈસા ચૂકવવામાં આવે છે. ટૂર્નામેન્ટ દરમિયાન 65 ટકા આપવામાં આવે છે. બાકીના 20 ટકા ટૂર્નામેન્ટ પુરી થયા પછી નિયત સમયની અંદર આપવામાં આવે છે.' તેમણે કહ્યું, 'બીસીસીઆઈની વિશેષ માર્ગદર્શિકા છે. ચોક્કસપણે હજુ સુધી કોઈ પણ ખેલાડીને કંઇ આપવામાં આવ્યું નથી. 'બીસીસીઆઈ પ્લેયર્સ એસોસિએશન- ભારતીય ક્રિકેટર્સ એસોસિએશનના પ્રમુખ, અશોક મલ્હોત્રાએ સ્વીકાર્યું કે આઈપીએલની સીઝન ન હોવાનો આર્થિક પ્રભાવ ખૂબ મોટો હશે.
ઘરેલુ ખેલાડીઓએ પણ કપાત સહન કરવો પડશે'
તેમને લાગે છે કે, કોવિડ-19 મહામારીને પહોંચી વળવા માટે ચાલી રહેલાં લોકડાઉનને કારણે જો હજારો કરોડનું નુકસાન થાય તો સ્થાનિક ખેલાડીઓએ પણ આ કપાત સહન કરવો પડશે. હમણાં બીસીસીઆઈ વૈકલ્પિક વિન્ડોની શોધમાં છે કારણ કે, મે મહિનામાં આઈપીએલ રમાવાની સંભાવના ઘણી ઓછી છે પરંતુ હજી સુધી કંઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.
દેશમાં હાલમાં 21 દિવસનો લોકડાઉન છે જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થશે, જ્યારે આઈપીએલ 15મી એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે. કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં વિશ્વભરમાં 37,000થી વધુ લોકોના મોત નીપજ્યાં છે. આનાથી નોંધપાત્ર આર્થિક ઉથલપાથલ થઈ છે, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ સ્વીકાર્યું છે કે તેમના પગારમાં ઘટાડો થઈ શકે છે.
અન્ય એક ફ્રેન્ચાઇઝીના અધિકારીએ સ્પષ્ટતા કરી કે, મહામારી માટે ખેલાડીઓનો પગારનો વીમો લેવામાં આવતો નથી. જેથી વીમા કંપની તરફથી ખેલાડીઓને કોઈ રકમ મળશે નહીં, કારણ કે રોગચાળો વીમાની શરતોમાં સામેલ નથી. દરેક ફ્રેન્ચાઇઝીના પગારની રકમ 75 થી 85 કરોડ છે. જો કોઈ રમત જ નહીં થાય તો, અમે કેવી રીતે ચુકવણી કરી શકીએ?
આઈપીએલના દસમા તબક્કા સુધી ફ્રેન્ચાઇઝીનો ભાગ રહેલાં અધિકારીએ કહ્યું કે, 'ઇંગ્લિશ પ્રીમિયર લીગ, લા લિગાથી લઈને બુન્ડેસ્લિગા સુધી ખેલાડીઓના પેમેન્ટમાં કપાત કરવામાં આવી રહ્યું છે અને વસ્તુઓ સામાન્ય ક્યારે થશે તે પણ જાણતા નથી. '
બીસીસીઆઈએ શું કરવું તે હવે જોવાનું રહ્યું. આનાથી લગભગ 3000 કરોડનું નુકસાન થશે. તેમણે કહ્યું, 'એવું નથી કે, આનાથી માત્ર ધોની અને કોહલીને જ અસર થશે. ચોક્કસપણે તેમને નુકસાન થશે, પરંતુ પ્રથમ વખત રમનારાઓ માટે, 20, 40 અથવા 60 લાખ જીવન બદલાતી રકમ છે. અમને આશા છે કે બીસીસીઆઈની કોઈ યોજના છે.
નુકસાનનો અંદાજ લગાવવો મુશ્કેલ
જોકે બીસીસીઆઈના કોષાધ્યક્ષ અરુણ ધૂમલે જણાવ્યું કે, હાલમાં કપાત અંગે કોઈ ચર્ચા થઈ નથી. તેમણે કહ્યું,આઇપીએલ ચોક્કસપણે બીસીસીઆઈની સૌથી મોટી ટૂર્નામેન્ટ છે. પરંતુ આ સમયે નુકસાનની ગણતરી અને અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે. જ્યાં સુધી અધિકારીઓ સાથે બેસીને બધી ગણતરી નહીં કરે ત્યાં સુધી અમે કશું કહી શકતા નથી કારણ કે આ ગણતરી એકદમ જટિલ છે.