ઘરેલુ ફ્લાઈટમાં 2 કલાકથી ઓછી સફર દરમિયાન યાત્રીઓને ભોજન ન આપવાનો ઓર્ડર કેન્દ્ર સરકારે એરલાઈન્સને આપ્યો છે
ઘરેલુ ફ્લાઈટમાં 2 કલાકથી ઓછી સફરમાં ભોજન મળશે
2 કલાકથી વધારેની યાત્રા હશે તો ભોજન નહીં મળે
આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં તો જ્યારે જોઈએ ત્યારે ભોજન મળી શકશે
નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા જારી નોટિફિકેશન અનુસાર, દેશમાં કોરોનાના કેસો વધી રહ્યાં હોવાથી તમામ એરલાઈન્સ 2 કલાકથી વધારેની ઘરેલુ ફ્લાઈટ્સની સફર દરમિયાન જ યાત્રીઓને ખાવાનું આપી શકશે. સફર 2 કલાકથી ઓછી હશે તો યાત્રીઓને ફ્લાઈટમાં જમવાનું નહીં મળે. જોકે આ નિયમ ફક્ત ઘરેલુ ફ્લાઈટ માટે જ છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ માટે ભોજન માટેનો આવો કોઈ નિર્ણય લાગુ નહીં પડે. એટલે કે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં યાત્રી જ્યારે જોઈએ ત્યારે ભોજનનો ઓર્ડર કરી શકશે.
2 કલાકથી વધારેની સફરમાં જ ખાવાનું મળશે
મંત્રાલયના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે 2 કલાક કરતા વધારેની સફર દરમિયાન તબક્કાવાર રીતે ભોજન પુરુ પાડવામાં આવશે. ફ્લાઈટમાં ફક્ત પ્રી પેક્ડ જ ભોજન લઈ શકાશે અને ડિસ્પોઝેબલ પ્લેટ અને કટલરીની સાથે પીરસવામાં આવશે. ઉપયોગ બાદ પ્લેટ, કટલરી અને પેકિંગ મટિરિયીલનો યોગ્ય રીતે નિકાલ કરવાનો રહેશે. કોઈ પણ સંજોગોમાં તેનો ફરી ઉપયોગ નહીં કરવા દેવાય. ચા, કોફી અને પાણીની બોટલો, કન્ટેનર અથવા કેનમાં આપવું પડશે. ભોજન આપ્યા બાદ દરેક વખતે ક્રૂના સભ્યોને તેમના મોજા બદલી નાખવાનો પણ ઓર્ડર અપાયો છે.
કોરોનાના કેસો વધતા નિર્ણય લેવાયો
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગયા વર્ષે કોરોના વાઈરસની પહેલી લહેર દરમિયાન ફ્લાઈટ્સમાં ભોજન ન પુરુ પાડવાનો નિર્ણય લીધો હતો. જોકે પાછળથી કોરોનાના કેસોમાં ઘટાડો આવતા આ નિર્ણય પરત લેવાયો હતો અને હવે ફરી વાર કોરોનાના કેસોમાં આવેલા અચાનક ઉછાળાને કારણે ફરી વાર આ નિયમ લાગુ પડાઈ રહ્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે અમે ગયા વર્ષે ફ્લાઈટની અંદર ભોજન સંબંધિત ગાઈડલાઈન બહાર પાડી હતી જેના ઘણા સારા પરિણામો મળ્યાં છે. જોકે અગમચેતીના એક પગલાં તરીકે, કેટલીક વધારાની જોગવાઈઓ કરાઈ રહી છે અને તે અનુસાર જ 2 કલાક કરતા વધારેની યાત્રા હશે તો જ ફ્લાઈટમાં ભોજન મળશે. અધિકારીએ જણાવ્યું કે દેશમાં કોરોનાના કેસોમાં વધારો થતા પ્રવાસીઓ અને ક્રૂ મેમ્બર્સની સલામતી માટે આ નિર્ણય લેવાયો છે.