અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં દારૂ અને જુગારની બાતમી પોલીસને આપતા સર્જાયેલી ગેંગવોરમાં દસ મહિના પહેલા થયેલી સાજિદની હત્યા મામલે પોલીસે ગનપાઉડરનાં સેમ્પલ લેવા માટે સાજિદની ખોપરીને એફએસએલમાં મોકલી આપી છે.
આરોપીઓએ સાજિદને પોઇન્ટ બ્લેન્ક રેન્જથી માથામાં ગોળી મારીને હત્યા કરી હતી. જેમાં બુલેટ રિકવર કરવા માટે પોલીસ દસ મહિના બાદ તેની દફનાવેલી લાશને બહાર કાઢી હતી. પોલીસને તેની ખોપરીમાંથી બુલેટ નહીં મળતાં એફએસએલની મદદ લીધી છે.
તારીખ ૭ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ નારોલ વિસ્તારમાં આવેલ સદાની ધાબી કેનાલ પાસે ૨૫ વર્ષના મોહમદ સાજિદ મોહમદ ઉંમર શેખની લોહીથી લથપથ હાલતમાં લાશ મળી હતી. નારોલ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. સાજિદના માથાના ભાગે ઇજા થઇ હોવાથી પોલીસે અકસ્માતની દિશામાં તપાસ શરૂ કરી હતી. લાંબી તપાસ બાદ સાજિદનુ મોત કયા વાહનથી થયું છે તેનો કોઇપણ પુરાવો પોલીસને મળ્યો નહીં. આ સિવાય સીસીટીવી ફૂટેજ પણ હતા નહીં કે પછી નજરે જોનાર કોઇ સાક્ષી પણ હતો નહી.
પોલીસને શંકા જતાં તેને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. પોલીસને ગુપ્ત બાતમી મળી હતીકે સાજિદની હત્યા બુટલેગર યાકુબ અને ફિરોઝ પઠાણે કરી છે. બાતમીના આધારે તપાસ કરતા સાજિદના મોત પરથી પરદો ઉચકાયો હતો. દારૂના ધંધાની અદાવતમાં યાકુબ અને ફિરોઝે સાજિદની ગોળી મારીને હત્યા કરી હતી અને તેના મોતને અકસ્માત મોતમાં ખપાવવાની કોશિશ કરી હતી. આ કેસમાં બાતમીદારે આપેલી બાતમી પ્રમાણે પોલીસ બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી દીધો હતો.