ભાવનગરમાં તૌકતેના કારણે છવાયો અંધારપટ, 90 ટકા વિસ્તારમાં વીજ પુરવઠો ઠપ
તૌકતે વાવાઝોડાથી ભારે નુકસાન
90 ટકા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ
વીજ કર્મચારીઓની કામગીરી
ભાવનગરમાં તૌકતે વાવાઝોડાથી ભારે નુકશાન થયું છે. લગભગ 90 ટકા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો છે. 36 કલાક પસાર થઈ ગયા હોવા છતાં હજુ સુધી વિજળી નથી આવી. જોકે વીજળી પહોંચાડવા માટે ટીમો કામે લાગી ગઈ છે. અન્ય જિલ્લાઓમાંથી પણ વીજ કર્મચારીઓને બોલાવવામાં આવ્યા છે. આજે સાંજ સુધીમાં વીજ પુરવઠો શરૂ થાય તેવી શક્યતા છે.
મહૂવામાં મહાવિનાશ!
તૌકતે વાવાઝોડાનું રાજ્યમાં જે સ્થળોએ સૌથી વધારે સંકટ હતું તેમાં ભાવનગર જિલ્લાનું મહૂવા પણ હતું. મહૂવા શહેરની સાથે સાથે તેના ગામડાઓમાં તૌકતેએ મોટો વિનાશ વેર્યો છે. ભારે પવન સાથે સતત વરસાદ અને 120 કિલોમીટરથી વધુ ઝડપે ફૂંકાઈ રહેલા પવનથી કેટલાય હોડિંગ્સ, વૃક્ષો ધરાશાયી થઈ ગયા.
45 લોકોના કરૂણ મોત
તૌકતે વાવાઝોડાએ ગુજરાતમાં ભારે કહેર વર્તાવ્યો છે, રાજ્યમાં વાવાઝોડાના કારણે ભયંકર નુકસાન થયું છે અને 45 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવી રહી છે જેમાં સામે આવ્યું છે કે વાવાઝોડાના કારણે મુત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 45 થઈ છે. આ સાથે જ ઘણા બધા પશુઑના પણ મોત થયા છે.
ગુજરાતમાં વાવાઝોડાએ વેર્યો વિનાશ
વાવાઝોડાના કારણે ગુજરાતમાં પશુઓના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ગુજરાતભરમાં 60 હજારથી વધારે વૃક્ષો તથા 70 હજારથી વધારે વીજ પોલ ધરાશાયી થઈ ગયા હતા. 16 હજારથી વધારે કાચા-પાકા મકાનો પણ પડી ગયા. 200થી વધારે રોડને નુકસાન થયું જ્યારે 200થી વધારે ટ્રાન્સફોર્મર પણ ખોટકાઈ ગયા હતા.