નવા સંસદ ભવનની ટોચ પર રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભના સિંહોની ડિઝાઇનમાં તફાવત હોવાનો આક્ષેપ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી હતી.
નવા સંસદ ભવનની ટોચ પર રહેલ સિંહોની ડિઝાઇનનો મામલો
સિંહોની ડિઝાઇનમાં તફાવત હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો
આજે સુપ્રીમ કોર્ટે આ આક્ષેપ કરતી અરજીને ફગાવી દીધી હતી
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બની રહેલા નવા સંસદ ભવનની ટોચ પર રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભના સિંહોની ડિઝાઇનમાં તફાવત હોવાનો આક્ષેપ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી હતી.
વ્યક્તિના મન પર નિર્ભર
ભારતના નવા સંસદ ભવનમાં સ્થાપિત સિંહની પ્રતિમા કાયદાનું ઉલ્લંઘન કરતી નથી. સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ ટિપ્પણી કરી છે. આ સાથે કોર્ટે આક્રમક મૂર્તિના દાવા પર પણ સવાલો ઉઠાવ્યા છે. કોર્ટે અરજી ફગાવી દીધી અને કહ્યું કે તે વ્યક્તિના મન પર નિર્ભર કરે છે. વાસ્તવમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ભાગરૂપે સંસદ ભવન પર સિંહની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. આ અંગે રાજકીય પક્ષો તરફથી પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
અદાલતે આપ્યો જવાબ
સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આ પ્રતીક દેશના રાષ્ટ્રીય પ્રતીક અધિનિયમ, 2005ની જોગવાઈઓથી વિરુદ્ધ નથી, ન તો તે કાયદાનું ઉલ્લંઘન કરે છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની ટોચ પર સ્થાપિત ભારતના રાજ્યના પ્રતીકમાં સિંહોની ડિઝાઇનમાં સ્પષ્ટ તફાવત છે. તેમાં સારનાથ મ્યુઝિયમમાં સચવાયેલા રાષ્ટ્રીય પ્રતીકની સરખામણીએ સિંહોનું સ્વરૂપ બદલાયું હોય તેવું લાગી રહ્યું છે.
બે એડવોકેટે કરી હતી અરજી
આ મામલે બે એડવોકેટ એલદનીશ રેન અને રમેશ કુમાર વતી અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારોએ દાવો કર્યો હતો કે નવી પ્રતિમા ભારતના રાજ્ય પ્રતીક અધિનિયમ, 2005 હેઠળ મંજૂર કરાયેલ રાષ્ટ્રીય પ્રતીકની ડિઝાઇનની વિરુદ્ધ છે. જો કે જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ કૃષ્ણ મુરારીની બેન્ચે અરજી ફગાવી દીધી હતી.
અરજીમાં શું કહેવામાં આવ્યું હતું ?
અરજીમાં કહેવામાં આવ્યું છે કે પ્રતીકમાં સામેલ સિંહો વિકરાળ અને આક્રમક જોવા મળે છે, જેમનું મોં ખુલ્લું છે અને દાંત દેખાય છે. જ્યારે સારનાથમાં મૂર્તિના સિંહો શાંત જોવા મળે છે. વધુમાં કહેવાયું છે કે ચાર સિંહ બુદ્ધના વિચારોનું પ્રતિનિધિત્વ કરે છે. પિટિશન મુજબ, તે માત્ર એક ડિઝાઇન નથી, તેનું પોતાનું સાંસ્કૃતિક મહત્વ છે.