કોરોના વાયરસ વૈશ્વિક મહામારીને કારણે, વિશ્વભરની તમામ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ રદ્દ અથવા તો સ્થગિત કરવામાં આવી છે. આઈપીએલ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવ્યું છે અને હવે ઓસ્ટ્રેલિયામાં થનાર T-20 વર્લ્ડ કપના આયોજન અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યાં છે.
કોરોનાવાયરસના કારણે ઓસ્ટ્રેલિયાએ સપ્ટેમ્બર સુધી લોકડાઉન લગાવ્યું છે
ખેલાડીઓ સહિત તમામ ક્રિકેટ કોમ્યુનિટીની સુરક્ષા સૌથી જરૂરી
હાલ આઈસીસી ઉતાવળમાં કોઈ નિર્ણય લેવા માંગતુ નથી
તમને જણાવી દઈએ કે, કોરોનાવાયરસના કારણે ઓસ્ટ્રેલિયાએ 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લગાવ્યું છે અને 6 મહિના માટે તેની બોર્ડર સીલ કરી દીધી છે. એવામાં 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન દરમિયાન આ વર્લ્ડ કપના આયોજન પર પણ જોખમ છે. એવામાં જો પરિસ્થિતિમાં સુધાર નહીં આવે તો આ ટૂર્નામેન્ટ એક વર્ષ માટે ટાળી પણ શકાય છે.
જોકે, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) આ અંગે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવા માંગતુ નથી. જેથી આઈસીસીએ જણાવ્યું કે, તે ઓગસ્ટ પહેલાં કોઈ નિર્ણય લેશે નહીં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને લોકોના સ્વાસ્થ્યને પહેલી પ્રાથમિકતા આપવી જરૂરી છે. પરંતુ જો પરિસ્થિતિ આગામી 2 મહિનામાં સુધરી જાય તો શું થશે. જેથી મે મહિનામાં જ આઈસીસી વર્લ્ડ કપને સ્થગિત કરવાનો નિર્ણય લઈ લે અને પછી જો પરિસ્થિતિ સુધરે તો શું. આઈસીસી માટે વર્લ્ડ કપ અંગે નિર્ણય કરવો અઘરો છે. જેથી આઈસીસી હાલ કોઈ નિર્ણય લેશે નહીં અને આ અંગે કોઈપણ અનુમાન લગાવવો જોઈએ નહીં.
સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે, બધું પ્લાનિંગ પ્રમાણે ચાલી રહ્યું છે અને અપેક્ષા છે કે ટૂર્નામેન્ટ નિર્ધારિત તારીખે યોજાશે. આઈસીસીના એક અધિકારીએ કહ્યું, આ અનિશ્ચિતતાના સમયમાં અમારી પહેલી પ્રાથમિકતા ખેલાડીઓ, કોચ, અધિકારીઓ, ફેન્સ અને આખી ક્રિકેટ કમ્યુનિટીની સુરક્ષા છે. વર્લ્ડ કપની અમારી તૈયારીઓમાં આગામી સમયમાં પણ બધાંની સુરક્ષાનું ધ્યાન રાખીને જ કામ કરવામાં આવશે. એવી પણ અટકળો લગાવવામાં આવી રહી છે કે, વર્લ્ડ કપ દર્શકો વગર ખાલી સ્ટેડિયમમાં રમાશે.
આ દરમિયાન ગુરુવારે આઇસીસીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેના તમામ ચીફ એગ્ઝ્યુક્યૂટિવ કમિટીના સભ્યોની બેઠક બોલાવી છે. બીસીસીઆઈ તરફથી જય શાહ બેઠકમાં ભાગ લેશે. હવે જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટૂર્નામેન્ટ મુલતવી રાખવામાં આવી છે, તો અપેક્ષા છે કે બધા સભ્યો ફ્યુચર ટૂર્સ પ્રોગ્રામ એટલે કે એફટીપીમાં ફેરફારની અપેક્ષા રાખશે. આ નિર્ણયો પણ હાલ પ્રારંભિક તબક્કામાં છે. અંતિમ નિર્ણય લેવા માટે હજી ઘણી બેઠકો યોજાશે.