કાશ્મીર મુદ્દે દુનિયાનું સમર્થન નહીં મળતા પાકિસ્તાને ભારત માટે પોતાનું એરસ્પેસ બંધ કર્યું હોવાના સમાચારનું ખંડન કર્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ કહ્યું કે આ અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ જણાવ્યું છે કે આ પગલા અંગે પહેલા વિચાર-વિમર્શ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.
નેશનલ ડેટાબેઝ એન્ડ રજિસ્ટ્રેશન ઑથોરિટીની મુલાકાત દરમિયાન પત્રકાર પરિષદને સંબોધન કરતાં કુરૈશીએ કહ્યું કે આ મુદ્દો હાલ સંઘીય કેબિનેટની બેઠક દરમિયાન ચર્ચામાં આવ્યો હતો, જો કે આ અંગેનો અંતિમ નિર્ણય વડાપ્રધાન ઇમરાન ખાન દ્વારા લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ પાકિસ્તાનના વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી મંત્રી ફવાદ ચૌધરીએ ટવિટ કરી જણાવ્યું હતું કે પાકિસ્તાન સરકારે ભારત માટે એર સ્પેસ સંપૂર્ણ પણે બંધ કરવા તેમજ અફઘાનિસ્તાન-ભારત વેપાર માટે પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવવા અંગે વિચાર કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને બાલાકોટમાં જૈશ-એ-મહોમ્મદ (જેઇએમ)ના આતંકવાદી કેમ્પ પર ભારતીય વાયુસેનાના દ્વારા કરવામાં આવેલા એર સ્ટ્રાઇક બાદ એરસ્પેસને ફેબ્રુઆરીમાં બંધ કરી દેવામાં આવ્યું હતું. જેને 16 જુલાઇ બાદ દરેક ઉડાન માટે પાકિસ્તાને પોતાનું એર સ્પેસ ખોલી દીધુ હતું.
ઉલ્લેખનીય છે કે જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કોઇનો સાથસહાકાર મળ્યો નહોતો. પાકિસ્તાનના મંત્રીએ પરમાણૂ યુદ્ધની પણ ધમકી આપી દીધી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પણ દેશને સંબોધન કરતા પરમાણુ હથિયારના ઉપયોગનો ઉલ્લેખ કર્યો હતો.