કેન્દ્ર સરકારે ખુલાસો કર્યો છે કે કોરોના હાલમાં ઉપલબ્ધ વેક્સિનમાંથી એક પણ વેક્સિન પુરુષ અને સ્ત્રીની ફળદ્રુપતાને અસર પહોંચાડતી નથી.
વેક્સિન લેવાથી વંધ્યત્વ આવે છે તેવો ભ્રમ ફેલાયો
લોકોનો આ ભ્રમ દૂર કરવા કેન્દ્ર સરકારે કમર કસી
હેલ્થ મિનિસ્ટ્રીએ ખુલાસો કર્યો
કોરોનાની એક પણ વેક્સિનની લોકોની ફળદ્રુપતા પર કોઈ અસર નહીં
જ્યારથી કોરોના વેક્સિન આવી છે ત્યારથી તેની અસરકારકતા અંગે જાતજાતના દાવા થઈ રહ્યાં છે. લોકોમાં અનેક પ્રકારના ભ્રમ ફેલાઈ રહ્યાં છે અને દર વખતે સરકારને આ ભ્રમ દૂર કરવા આગળ આવવું પડે છે. થોડા સમયથી એવી ખબર ફેલાઈ રહી છે કે કોરોના વેક્સિન લેવાથી પુરુષોની ફળદ્રુપતા પર અસર પડી રહી છે તથા સ્ત્રીઓ પર વાંઝિયા બનવાનો ખતરો છે.
કોરોના વેક્સિન લોકોની ફળદ્રુપતા પર માઠી અસર કરે છે તેવું મીડિયા રિપોર્ટમાં જણાવાયું હતું. જે પછી સરકારને ખુલાસો આપવો પડ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે સલામતી અને કાર્યક્ષમતાની ચકાસણી થયા બાદ જ વેક્સિન ઉપયોગ માટે આવે છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું કે કોરોનાની કોઈ પણ વેક્સિન પુરુષ કે સ્ત્રીની ફર્ટિલિટી પર અસર પાડતી નથી. કારણ કે તમામ વેક્સિન અને તેના બંધારણ ઘટકોની પહેલા પ્રાણીઓ પર ટ્રાયલ કરવામાં આવે છે અને ત્યાર બાદ મનુષ્યોના ઉપયોગમાં લેવાય છે તેથી ચિંતાનો કોઈ વિષય નથી.
વેક્સિનેશનથી વંધ્યત્વતાના ફેલાવાઈ રહેલા ભ્રમને દૂર કરવા માટે સરકારે કમર કસી છે. મંત્રાલયે એવું પણ જણાવ્યું કે કોરોના વેક્સિન લેવાથી પુરુષ કે સ્ત્રીમાં વંધ્યત્વ આવે છે તેવું સાબિત કરવાનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. કોરોના વેક્સિન સંપૂર્ણપણે સલામત અને અસરકાર હોવાનુ સાબિત થયું છે.