કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા બાદ જાણે દુનિયા થંભી ગઇ હોય તેવું લાગી રહ્યું છે. જેને લઇને ઘણા દેશોએ પોતાને ત્યાં વિદેશીઓના પ્રવેશને લઇને રોક લગાવી દીધી છે, જ્યારે અનેક ફલાઇટસ રદ્દ કરવામાં આવી રહી છે.
ઇટાલી ફસાયા ભારતીય વિદ્યાર્થી
એરપોર્ટ પર કરી રહ્યાં છે પરત આવવાની રાહ
અત્યાર સુધીમાં નહી મળ્યું - No Corona સર્ટિફિકેટ
જેના કારણે બીજા દેશમાં ગયેલા નાગરિક ત્યાં ફસાઇ ગયા છે. ભારતથી ઇટાલી ગયેલા કેટલાંક પ્રવાસીઓ પણ એરપોર્ટ પર ફસાઇ ગયા છે. રોમના આંતરરાષ્ટ્રિય એરપોર્ટ પર ઘણા ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે, જેઓ ભારત પરત આવવા માટે રાહ જોઇ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે એર ઇન્ડિયા તરફથી જણાવામાં આવ્યું છે કે જ્યાં સુધી કોઇપણ યાત્રીઓને નો-કોરોના (No Corona) સર્ટિફિકેટ નહીં દેખાડી શકે, ત્યાં સુધી તેમને ફલાઇટમાં બેસવા મળશે નહીં. જ્યારે વિદ્યાર્થીઓનું કહેવું છે કે ઇટાલીમાં ડૉકટર હાલમાં સ્થાનિક લોકોના આરોગ્યમાં વ્યસ્ત છે, એવામાં વિદેશીઓને કોઇપણ હોસ્પિટલ અથવા ડોકટર હેલ્થ ક્લિયરન્સ આપી રહ્યાં નથી.
જેને લઇને ઇટાલીમાં ફસાયેલા વિદ્યાર્થીએ હૈદરાબાદના એક્ટિવિસ્ટ અમજેદ ઉલ્લાહ ખાનનો સંપર્ક કર્યો અને મદદ માટે અપીલ કરી. જો કે આ અંગે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરને આ મુદ્દે જાણ કરવામાં આવી અને ભારતીય વિદ્યાર્થીઓને મદદ કરવા અપીલ કરવામાં આવી. જેને લઇને હવે ઇટાલીમાં રહેલા ભારતીય દૂતાવાસ જલ્દી જ આ વિદ્યાર્થીઓનો સંપર્ક કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં અત્યાર સુધીમાં ચીન બાદ ઇટાલીમાં જ કોરોના વાયરસનો કહેર સૌથી વધારે જોવા મળી રહ્યો છે. જ્યાં અત્યાર સુધીમાં 827 લોકોના મોત કોરોના વાયરસના કારણે થયા છે. ઇટાલીમાં સતત વધતા કહેર વચ્ચે એર ઇન્ડિયાએ પણ ઇટાલી જતી ફલાઇટ રદ્દ કરી દીધી છે.