ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદને કોરોનાએ બાનમાં લીધું છે જેમાં દરરોજ કોરોના વાયરસનો તાંડવ જોવા મળી રહ્યો છે છતાં ઘણી જગ્યાઓ પર તંત્ર બેદરકાર દેખાઈ રહ્યું છે.
કોરોના સંક્રમણ વધશે તો જવાબદાર કોણ ?
અમદાવાદમાં કોવિડ ટેસ્ટ વગર મુસાફરોનું આગમન
કાલુપુર રેલવે સ્ટેશન પર ટેસ્ટ ફરજિયાત નથી
અમદાવાદમાં તંત્રની ભૂલથી વધી શકે છે કોરોના સંક્રમણ
ગુજરાતમાં કોરોના વાયરસના કારણે દરરોજ ઘણા બધા કેસ સામે આવી રહ્યા છે અને લોકો મોતને પણ ભેટી રહ્યા છે. અમદાવાદમાં કોરોના વાયરસથી કહેરના કારણે હાલમાં જ બે દિવસનું કર્ફ્યું લગાવી દેવાની ફરજ પડી હતી પરંતુ તંત્ર તો હજુ પણ બેદરકાર જણાઈ રહ્યું છે.
કોવિડ ટેસ્ટ વગર મુસાફરો શહેરમાં આવી રહ્યા છે
ગુજરાતમાં વધતા કોરોના વાયરસના કેસમાં સૌથી વધારે ચિંતા અમદાવાદે વધારી છે. અમદાવાદમાં જ સૌથી વધારે મોત પણ સામે આવી રહી છે પરંતુ અમદાવાદમાં બહારથી જીવતા કોરોના બોમ્બ વગર કોઈ રોકટોક સીધા જ પ્રવેશ કરી રહ્યા છે.
કાલુપુર રેલવે સ્ટેશન પર નથી થતા ફરજિયાત કોરોના ટેસ્ટ
અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે અને રેલ્વે માટે પશ્ચિમ ઝોનનું એક મોટું સ્ટેશન ગણવામાં આવે છે. અમદાવાદમાં હાલમાં 60 ટ્રેનોની અવર જવર થઇ રહી છે અને હજારોની સંખ્યામાં મુસાફરો અવર જવર કરી રહ્યા છે પરંતુ અમદાવાદમાં જો કોઈ કોરોના પોઝિટિવ દર્દી અમદાવાદનાં આ રેલ્વે સ્ટેશન પરથી અમદાવાદમાં પ્રવેશ કરી લે તો કોઈને ખબર પણ નહીં પડે.
કોરોના સંક્રમણ વધશે તો તેનું જવાબદાર કોણ ?
અમદાવાદ રેલ્વે સ્ટેશન પર ફરજિયાત કોરોના ટેસ્ટ કરવામાં આવતા નથી. જો કોઈ મુસાફરને સામેથી ટેસ્ટ કરાવવો હોય તો જ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે અમદાવાદ બહારથી કોઈ વ્યક્તિ વાયરસ સાથે સંક્રમિત થઇને અમદાવાદમાં આવે અને શહેરમાં સંક્રમણ વધે તો તેના માટે જવાબદાર કોણ ?
નોંધનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં છેલ્લા પાંચ દિવસમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં કોરોના વાયરસનો આંકડો રોકાવાનું નામ લેતો નથી. ગુજરાતમાં તહેવારોની સિઝન અને શિયાળાની શરૂઆત બાદથી જ કોરોના વાયરસનો પારો ઉપર ચડી રહ્યો છે અને બે દિવસથી રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં મોતના આંકડા જોઇને રાજ્ય અને કેન્દ્ર સરકારની ચિંતામાં વધારો થઇ રહ્યો છે જ્યારે વડોદરા સુરત અને રાજકોટમાં પરિસ્થિતિ વણસી રહી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં 1598 કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં નવા કેસ સામે આવ્યા બાદ સાજા થયેલા દર્દીઓની સંખ્યાનો આંકડો 1,87,969 પર પહોંચ્યો છે. આજે રાજ્યમાં કુલ 15 દર્દીઓની કોરોના વાયરસના કારણે મોત થઇ છે જે બાદ કુલ મૃત્યુઆંક 3953 પર પહોંચી છે.