તમામ બેંકોમાં ડેબિટ કાર્ડ વગર ATMમાંથી પૈસા ઉપાડવાની સુવિધા આપવામાં આવશે:RBI ગવર્નર શક્તિકાંત દાસ
ડેબિટ કાર્ડ વિના ATMમાંથી કાઢી શકાશે પૈસા
અમુક બેંકોમાં જ હતી આ સુવિધા
હવે UPI દ્વારા તમામ બેંકોના ATMમાં મળશે સુવિધા
એટીએમમાં પૈસા ઉપાડવા જાવ અને જો એટીએમ જ ઘરે ભૂલી ગયા હોવ તો ? ઘરેથી નીકળતી વખતે કોઇ ઇમરજન્સીમાં પૈસા ઉપાડવાના થાય પરંતુ જો એટીએમ કાર્ડ જ ન હોય તો ? આવા સમયે આપણે મુશ્કેલીમાં મુકાઇ જઇએ છીએ પરંતુ હવે એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે કાર્ડની જરુર નહી પડે તેમ RBIના ગર્વનર શક્તિકાંત દાસે જણાવ્યુ છે. મહત્વનું છે કે અત્યાર સુધી આ સુવિધા કેટલીક બેંકોમાં જ હતી પરંતુ હવે તમામ બેંકોમાં ઉપલબ્ધ હશે,.
કાર્ડ વગર એટીએમમાંથી પૈસા ઉપાડવામાં આવશે
RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે હવે તમામ બેંકોમાં ડેબિટ કાર્ડ વગર ATMમાંથી પૈસા ઉપાડવાની સુવિધા આપવામાં આવશે. અત્યાર સુધી માત્ર કેટલીક બેંકોમાં કાર્ડ વગર એટીએમમાંથી પૈસા ઉપાડવાની સુવિધા હતી. તેમણે કહ્યું કે UPI દ્વારા ATMમાંથી પૈસા ઉપાડી શકાય છે.
કાર્ડ ક્લોન ફ્રોડમાં ઘટાડો થશે
RBI ગવર્નર શક્તિકાંત દાસના જણાવ્યા અનુસાર, આ પગલાથી કાર્ડનું ક્લોન કરીને પૈસા ઉપાડવાની છેતરપિંડી પણ ઓછી થશે. તમને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે મોનેટરી પોલિસીની જાહેરાત કરી હતી.
રેપો રેટમાં કોઈ ફેરફાર નહિ
નોંધનીય છે કે MPCએ પોલિસી દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 4 ટકા પર યથાવત છે. આ સતત 11મી વખત છે જ્યારે કેન્દ્રીય બેંકે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. અગાઉ, રિઝર્વ બેંકે છેલ્લે 22 મે 2020ના રોજ રેપો રેટમાં ફેરફાર કર્યો હતો.
RBI નરમ વલણ બદલશે
મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકના પરિણામોની જાહેરાત કરતા, રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે આર્થિક વૃદ્ધિ જાળવી રાખીને ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્રીય બેંક તેના નરમ વલણમાં થોડો ફેરફાર કરશે. મહત્વનું છે કે રેપો રેટ પર રિઝર્વ બેંક વાણિજ્યિક બેંકોની જરુરિયાતોને પુરી કરવા માટે લોન આપે છે. જ્યારે રિવર્સ રેપો રેટ હેઠળ બેંકો પોતાના પૈસા રિઝર્વ બેંકની પાસે રાખીને વ્યાજ મેળવે છે. એમપીસીએ ચાલુ નાણાકીય વર્ષ માટે આર્થિક વૃદ્ધિ દરના અનુમાનને ઘટાડીને 7.2 ટકા કરવામાં આવ્યો. ફેબ્રુઆરીમાં મૌદ્રિક સમીક્ષા બેઠકમાં એમપીસીએ આર્થિક વૃદ્ધિ દર 7.8 ટકા રહેવાનું અનુમાન કર્યુ હતું.