બે સરકારી બેંકોના ખાનગીકરણને લઇને કેબિનેટે અત્યાર સુધી કોઈ નિર્ણય કર્યો નથી. કેન્દ્ર સરકારે મંગળવારે સંસદમાં આ માહિતી આપી. કેન્દ્ર સરકારે ચાલુ વર્ષના બજેટમાં બેંકોના ખાનગીકરણની વાત કહી હતી. પરંતુ સંસદમાં આપવામાં આવેલી જાણકારી મુજબ, અત્યારે સરકારી બેંકોના ખાનગીકરણને લઇને કોઈ નિર્ણય થયો નથી.
બે સરકારી બેંકોના ખાનગીકરણને લઇને કેબિનેટે કોઈ નિર્ણય કર્યો નથી
કેન્દ્ર સરકારે સંસદમાં એક લેખિત જવાબમાં માહિતી આપી
દેશમાં સરકારી કંપનીઓના રોકાણ માટે સરકારે ખાસ નીતિ બનાવી
સરકારી કંપનીઓના રોકાણ માટે સરકારે ખાસ નીતિ બનાવી
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે સંસદમાં એક લેખિત જવાબમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું કે દેશમાં સરકારી કંપનીઓના રોકાણ માટે સરકારે ખાસ નીતિ બનાવી છે. સરકારનું કહેવુ છે કે સરકારી કંપનીઓના ખાનગીકરણથી તેમાં ખાનગી કંપનીઓ મૂડીરોકાણ કરશે. ટેકનોલોજી અને કામકાજનું વિસ્તરણ થશે. જેનાથી સરકારી કંપનીઓમાં મૂડી વધશે અને તેનું કામકાજ વધશે.
અલગ-અલગ મુદ્દા કેબિનેટ કમિટીને સોંપવામાં આવ્યાં
નાણાં મંત્રી સીતારમણે વધુમાં કહ્યું, રોકાણ સાથે સંબંધિત અલગ-અલગ મુદ્દા પર વિચારના ઉદ્દેશ્યથી મંત્રીમંડળ માટે નામિત કેબિનેટ કમિટીને સોંપવામાં આવ્યાં છે. કેબિનેટ કમિટી દ્વારા આ સંદર્ભે નિર્ણય લેવામાં આવ્યો નથી. સરકારી બેન્કોના ખાનગીકરણથી સંબંધિત બિલને સંસદના ચાલી રહેલા શિયાળુ સત્ર માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે, જે 23 ડિસેમ્બરે સમાપ્ત થઇ રહ્યું છે.
સરકારી બેંકોમાં યોજાઈ હતી બે દિવસની હડતાળ
ઉલ્લેખનીય છે કે, 16-17 ડિસેમ્બરે સરકારી બેન્કોની કર્મચારીઓની યુનિયનો દ્વારા દેશવ્યાપી હડતાળ યોજાઈ હતી. આ હડતાળ બેંકોના ખાનગીકરણ વિરુદ્ધ હતી. 2021ના બજેટમાં સરકારે કહ્યું હતુ કે બે સરકારી બેન્કોનું ખાનગીકરણ કરવામાં આવશે. અન્ય સરકારી કંપનીઓના ખાનગીકરણ સાથે સરકારી બેંકોને પણ સામેલ કરવામાં આવી છે. જોકે, બેંકોના નામ જણાવવામાં આવ્યાં નથી. હવે સંસદમાં સરકારે સ્પષ્ટીકરણ આપ્યું છે કે કેન્દ્રીય કેબિનેટે બેંકોના ખાનગીકરણને લઇને અત્યારે કોઈ નિર્ણય કર્યો નથી.