રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદકુમાર યાદવે શનિવારે જણાવ્યું કે એસી કોચમાં મુસાફરી કરતા રેલવે મુસાફરોને કોવિડ-19 મહામારી પછી પણ તેમના બ્લેન્કેટ અને બેડશીટ સાથે મુસાફરી કરવી પડશે. યાદવે કહ્યું કે, અમે મુસાફરોને સિંગલ યુઝવાળી બેડશીટ્સ આપવાનું નક્કી કર્યું છે, અથવા મહામારી સમાપ્ત થયા પછી પણ મુસાફરો પોતાની બેડશીટ્સ અને બ્લેન્કેટ લાવી શકે છે. તેના માટે એક વિગતવાર નીતિ બનાવવામાં આવી છે અને નિર્ણય લેવામાં આવ્યો છે.
રેલવે મુસાફરો માટે કામના સમાચાર
હવે એસી કોચમાં મુસાફરી કરનારને નહીં મળે બ્લેન્કેટ
રેલવે બોર્ડે લીધો નિર્ણય
તમને જણાવી દઈએ કે, કોરોનાનો ચેપ ફેલાતાં જ માર્ચમાં રેલવેએ ટ્રેનોના એસી કોચમાં લગાવેલાં પડદાં હટાવી દીધા હતા. ત્યારબાદ યાત્રીઓને અપાતા બેડરોલ હટાવી દીધા હતા. કોરોના સંક્રમણને રોકવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી હતી. લોકડાઉનને કારણે 23 માર્ચથી 20 મે સુધી ટ્રેનોને રોકી દેવામાં આવી હતી.
વીકે યાદવે કહ્યું કે, રેલવે પ્રવાસ દરમિયાન સ્વચ્છતા જાળવવા પ્રયાસો કરી રહી છે. તેથી, આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે મીડિયા અહેવાલોને પણ ફગાવી દીધા છે કે રેલવે લગભગ 500 ટ્રેનોનું સંચાલન બંધ કરી શકે છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે કોઈ પણ ટ્રેન ચલાવવાની કામગીરી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી કે કોઈ સ્ટેશન બંધ રહેશે નહીં.
તેમણે વધુમાં કહ્યું કે અમે 'ઝીરો આધારિત ટાઇમ ટેબલ' તૈયાર કરી રહ્યા છીએ અને આમાં આઈઆઈટી મુંબઈની મદદ લઈ રહ્યા છીએ. યાદવે કહ્યું કે, શક્ય છે કે કેટલીક નવી ટ્રેનો શરૂ કરવામાં આવે અથવા હાલની ટ્રેનોનું નામ બદલી અથવા રિશેડ્યૂલ કરી શકાય છે. રેલવે અધ્યક્ષે એ પણ સ્પષ્ટ કર્યું કે ઝીરો આધારિત ટાઇમ ટેબલ લાવવાનો ઉદ્દેશ રેલ મુસાફરીને શક્ય તેટલી અનુકૂળ બનાવવા અને મુસાફરોને ભીડ મુક્ત મુસાફરી પૂરી પાડવાનો છે.