રેપનો આરોપી નિત્યાનંદ ક્યાં છે? તેને લઇને કોઇ યોગ્ય જાણકારી મળી શકી નથી. પહેલા એમ કહેવામાં આવી રહ્યું હતું કે, તેણે દુનિયાના કોઇ ખુણામાં પોતાનો આઇલેન્ડ ખરીદ્યો છે અને પોતાના શિષ્યોની સાથે જીવન જીવી રહ્યો છે. પરંતુ કર્ણાટક પોલીસે સોમવારે હાઇકોર્ટમાં કહ્યું કે, 'તેઓને નોટિસ ન ફટકારી શકાય કેમકે તેઓ આધ્યાત્મિક યાત્રા પર છે'.
રેપનો આરોપી નિત્યાનંદ ક્યાં છે, તેને લઇને કોઇ યોગ્ય જાણકારી મળી શકી નથી
કોર્ટે 31 જાન્યુઆરીએ પોતાના એક આદેશમાં પોલીસને નિત્યાનંદને નોટિસ ફટકારવા કહ્યું હતું
નિત્યાનંદનો પાસપોર્ટ રદ્દ કરી દેવાયો છે તથા ઇન્ટરપોલે તેના વિરુદ્ધ બ્લૂ-કોર્નર નોટિસ જાહેર કરી છે
ખરેખર તો કોર્ટે 31 જાન્યુઆરીએ પોતાના એક આદેશમાં પોલીસને કહ્યું હતું કે તેઓ નિત્યાનંદને નોટિસ ફટકારે. તેના જવાબમાં હવે કર્ણાટક પોલીસે કોર્ટમાં આમ જવાબ આપ્યો છે. ડીએસપી બલરાજ બીએ કોર્ટમાં કહ્યું કે, 'તેમને સીધા નોટિસ ન આપી શકાય કેમકે તેઓ પોતાના બિડાડી સ્થિત આશ્રમમાં હાજર નથી અને આધ્યાત્મિક યાત્રા પર છે.
'Live Law'ની રિપોર્ટ મુજબ પોલીસે નિત્યાનંદના બદલામાં તેમના સહયોગી કુમારી અર્ચદાને નોટિસ ફટકારી છે. કુમારી અર્ચદાએ કોર્ટમાં કહ્યું કે તેઓએ પોલીસને કહ્યું હતું કે, નિત્યાનંદ ક્યાં છે? આ વિશે તેઓ પોલીસને જાણકારી આપી શકે તેમ નથી અને ત્યારબાદ તેઓને જબરદસ્તીથી નોટિસ પકડાવી દીધી.
નોંધનીય છે કે, નિત્યાનંદ પર બળાત્કાર અને બાળકોને હેરાન કરવાના આરોપ છે. નિત્યાનંદ નવેમ્બર 2018થી ફરાર છે. તેને લઇને એમ કહેવામાં આવી રહ્યું છે કે તે ઇક્વાડોરમાં છુપાયેલો હોઇ શકે છે. મોદી સરકારે હજુ 2 મહીના પહેલા જ તેનો પાસપોર્ટ રદ્દ કરી દીધો હતો. ઇન્ટરપોલે તેના વિરુદ્ધ બ્લૂ-કોર્નર નોટિસ જાહેર કરી છે.