નિત્યાનંદ આશ્રના વિવાદ મામલે ગ્રામ્ય પોલીસે તપાસ પૂર્ણ કરી કોર્ટમા ચાર્જશીટ રજૂ કર્યુ છે. ચાર્જશીટમાં મુખ્ય આરોપી નિત્યાનંદને વોન્ટેડ જાહેર કરવામા આવ્યો છે. ઉપરાંત પોલીસે કલમ 70 મુજબનુ વોરંટ મેળવી રેડ કોર્નર નોટીસ ઈસ્યુ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જોકે પોલીસ ચોપડે ફરાર નિત્યાનંદ હાથે લાગે છે કે કેમ તે મોટો સવાલ છે.
મુખ્ય આરોપી નિત્યાનંદને વોન્ટેડ જાહેર કરાયો
પોલીસે રેડ કોર્નર નોટીસ ઈસ્યુ કરવાની કાર્યવાહી હાથધરી
ગુમ થયેલી બન્ને બહેનોએ કિંગશ્ટનમાંથી એફિડેવિટ રજૂ કરી
અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિવેકાનંદનગર પોલીસ મથકમાં ફરિયાદી જનાર્દન શર્મા દ્વારા ફરિયાદ નોંધવામા આવી હતી. હિરાપર ગામે આવેલા નિત્યાનંદ આશ્રમમા રહેતા તેમના બે સગીર બાળકોનુ અપહરણ કરી, ગોંધી રાખી, બાળ મજુરી કરાવવામા આવે છે. ઉપરાંત બાળકો પાસે મજુરી કરાવી આશ્રમ કરોડો રૂપિયાનુ ડોનેશન મેળવે છે. મારી નાખવાની ધમકી આપવામા આવે છે. જે ગુનાની તપાસ દરમિયાન એસઆઈટી દ્વારા પ્રિયા તત્વા અને પ્રાણપ્રિયાની ધરપકડ કરી હતી. જોકે મુખ્ય આરોપી નિત્યાનંદને પોલીસે ચાર્જશીટમાં વોન્ટેડ દર્શાવ્યો છે. ઉપરાંત અગાઉ પણ પોલીસે નિત્યાનંદ વિરુદ્ધ બ્લ્યુ કોર્નર નોટિસ મેળવી હતી. જોકે હવે પોલીસ ઈન્ટરપોલની મદદથી વધુ સખત કાર્યવાહી કરશે.
ગુમ થયેલી બન્ને બહેનોએ કિંગશ્ટનમાંથી એફિડેવિટ રજૂ કરી
SITએ તપાસ દરમિયાન 50 સાક્ષીઓના જવાબ નોંધી 83 પાનાનું ચાર્જશીટ કોર્ટમા રજૂ કર્યુ છે. ઉપરાંત પ્રાણ પ્રિયા અને પ્રિયા તત્વા વિરુદ્ધ મહત્તમના પુરાવા પણ રજૂ કર્યા છે. જેમાં બાળમજુરી દ્વારા મેળવવામાં આવેલા 9.64 લાખ રૂપિયાના દાનને પણ પુરાવા તરીકે લેવામા આવ્યુ છે. ઉપરાંત સોશિયલ મિડીયા પર સ્વામીને પ્રમોટ કરવા કરાતી કામગીરીને પણ આરોપી વિરુદ્ધ પુરાવા તરીકે લેવામા આવ્યા છે. જોકે નિત્યાનંદ હાલ ક્યા છે તે અંગે કોઈ માહિતી ન મળતા તેને લાલ શાહીથી નાસતો ફરતો બતાવવામાં આવ્યો છે. ઉપરાંત ગુમ થયેલી બન્ને બહેનોએ કિંગશ્ટનમાંથી એફિડેવિટ રજૂ કરી છે. ઉપરાંત પોલીસ નિત્યાનંદ વિરુદ્ધ 70 મુજબનુ વોરંટ મેળવ્યા બાદ રેડ કોર્નર નોટિસ ઈસ્યુ કરવાની કાર્યવાહી હાથ ધરશે.
મહત્વની વાત છે કે નિત્યાનંદ આશ્રમ શરૂ થયાના એક વર્ષમાં જ નિત્યાનંદની પાપલીલા સામે આવી હતી. જે અંગે ફરિયાદ પણ થઈ. સમય મર્યાદામાં ચાર્જશીટ પણ રજૂ કરવામાં આવી, તેમ છતા ગુનાના બન્ને મુખ્ય પાસા એટલે કે નિત્યાનંદ અને ફરિયાદી જનાર્દન શર્માની બન્ને દિકરીઓ કોર્ટ કે પોલીસ સમક્ષ આવી નથી. ત્યારે હવે ચાર્જશીટ બાદ કોર્ટનુ વલણ શુ રહે છે તે જોવુ મહત્વનુ છે.