ભાજપનાં નરોડાનાં ધારાસભ્ય બલરામ થાવાણીએ એક મહિલા પર કરેલી દબંગાઈ જોત જોતમાં સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગઈ અને જનતા આગળ પ્રજાસેવકનો અસલી ચહેરો ખુલ્લો પડી ગયો. મત મેળવી લીધાં બાદ નેતાઓનો મતલબ પૂરો થઈ જાય છે અને પછી પોતાની ફરજો યાદ કરાવનાર જનતા તેમને દુશ્મન લાગવા માંડે છે ત્યારે નેતાઓ જનતાની કેવી કરે છે વલે જોઈએ અમારા આ અહેવાલમાં.
મહિલાઓને સત્તામાં પૂરેપૂરી ભાગીદાર બનાવવાની વાતો કરતી ભાજપનાં જ એક ધારાસભ્ય બલરામ થાવાણીએ પાણી પ્રશ્ને એક મહિલાને માર માર્યો. આ ઘટનાએ નાગરિકોમાં આઘાત જન્માવ્યો છે કેમ કે જનતાએ જ્યારે મત આપ્યા હતાં ત્યારે એમ વિચારીને આપ્યા હતાં કે, નેતાજી પાસે જ્યારે જઈશું ત્યારે સમસ્યાનું સમાધાન નીકળશે પરંતુ અહીં તો ધારાસભ્ય પોતે જ મહિલાને માર મારીને સમસ્યા ઊભી કરી દીધી છે નરોડા વિસ્તારમાં રહેતી નિતુ કુમારી તેજવાણી નામની મહિલા પોતાનાં વિસ્તારમાં પજવતી પાણીની સમસ્યા અંગે ધારાસભ્ય થાવાણી પાસે રજૂઆત કરવા આવી હતી પરંતુ ધારાસભ્યએ ઉશ્કેરાઈને મહિલાને લાત મારી દીધી.
આ જોઈને ધારાસભ્ય બલરામનાં કેટલાંક બાહુબલિ સાથીદારોએ પણ મહિલાને માર મારવાનું શરૂ કરી દીધું એક ધારાસભ્યની ઓફિસ સામે જ મહિલાને અસહ્ય યાતનામાંથી પસાર થવું પડયું માનવતા, નૈતિકતા અને શિસ્તની વાતો હવામાં ઓગળી ગઈ અને એક જનપ્રતિનિધિનો અને તેની દબંગ આણિ મંડળીનો અસલી ચહેરો બેનકાબ થઈ ગયો.
આ ઘટના બાદ ધારાસભ્ય થાવાણીને પક્ષમાંથી ઠપકો મળવાનું શરૂ થઈ ગયું. ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરવાનાં પ્રયાસો શરૂ થઈ ગયા. પ્રદેશ ભાજપે થાવાણીને માફી માગવાનો આદેશ આપી દીધો તો વિપક્ષ તરફથી સવાલોનાં તાતાતીર છૂટવા લાગ્યાં. કોંગ્રેસ નેતાઓએ ભાજપની મહિલા સન્માનના બેવડાં ધોરણો સામે સવાલ ઉઠાવ્યાં અને થાવાણી સામે પગલાં ભરવા માગણી કરી.
ભાજપ રાજમાં નારી શક્તિની માન-સમ્માનની વાતો થાય છે. પરંતુ ભાજપનાં જ નેતાઓ નારી શક્તિને જાહેર રસ્તામાં ઢોરની જેમ માર મારે છે. જાહેરમાં દંડાઓથી ફટકારે છે અને જ્યારે મામલો ગરમાય છે તો કે, ભૂલથી લાત લાગી ગઈ હોવાનું કહી માફી માગી લે છે.
મહિલા પર અત્યાચાર અને સત્તા સામે વિપક્ષોનાં હુમલા અને અંતે ધારાસભ્ય બલરામ થાવાણીએ માગેલી માફી બાદ અને આ સમગ્ર ઘટનાનો નાટકીય ઢબે અંત આવી ગયો પીડિતાએ જેની સામે મોરચો માંડયો હતો અને તે જ ધારાસભ્યને નાટકીય રીતે રાખડી પહેરાવી અને તેનું મોં મીઠું કરાવ્યું જેવી બે દ્રશ્યો આખી ઘટનાને સમજવા માટે પૂરતાં છે. આખરે જે મહિલા જેનાં હાથે અને જેનાં ગુંડાઓનાં હાથે માર ખાય છે એને એવો તો કેમ પ્રેમ ઉભરાઈ ગયો કે પીડિતા એ ધારાસભ્યને રાખડી બાંધવા તૈયાર થઈ ગઈ ચાલો ભલે અમાસના દિવસે રક્ષાબંધન ઉજવાઈ ગઈ પરંતુ શું તેમની આ પ્રકારનાં નાટકોથી લોકોનાં પ્રશ્નનો નિકાલ આવી જશે.