દેશમાં અર્થતંત્રની ખરાબ પરિસ્થિતિ અને સરકારની પાસે રૂપિયાની ઘટને લઇને દરેક જગ્યાઓ પર ચર્ચા જોવા મળી રહી છે. વિપક્ષી દળ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવી રહ્યો છે કે સરકારની તિજોરી ખાલી થઇ ગઇ છે અને તેને ભરવા માટે રિઝર્વ બેંક પાસેથી રૂપિયા લઇ રહી છે તો ક્યારે સરકારી કંપનીઓનું ખાનગીકરણ અંગેની વાત કરી રહી છે.
નિતિન ગડકરીએ સરકારની કાર્યશૈલી પર ઉઠાવ્યા સવાલ
પૈસાની અછત નથી પણ સરકારમાં નિર્ણય લેવાની હિંમત નથી
સરકારનું વલણ અને માનસિકતા નકારાત્મક છે
આ બધા નિવેદનોની વચ્ચે કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ મહારાષ્ટ્રના નાગપુરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં એમ કહીને બધાને ચોંકાવી દીધા કે સરકાર પાસે રૂપિયાની કોઇ ખોટ નથી. ગડકરીએ કહ્યું કે સરકાર પાસે કામ કરવાની માનસિકતા અને નિર્ણય લેવાની હિંમત ઓછી છે.
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ફરી એકવાર સરકારની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા છે. નિતિન ગડકરી નાગપુરમાં વિશ્વેશ્વરૈયા રાષ્ટ્રીય પ્રોદ્યોગિકી સંસ્થાનમાં એક સમારોહને સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન નિતિન ગડકરીએ પોતાના લક્ષ્યો તરફ ઈશારો કરતા કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં તેમને 17 લાખ કરોડ રૂપિયાના કામ કરાવ્યા છે. પૈસાની કોઇ અછત નથી, નિર્ણય લેવા માટે જે હિંમત જોઇએ તે સરકારમાં નથી.
આ વર્ષે 5 લાખ કરોડ સુધી પહોંચવા માગે છે. ગડકરીએ વધુમાં કહ્યું કે હું તમને સત્ય બતાવું છું. પૈસાની કોઈ અછત નથી, નિર્ણય લેવા માટે જે હિંમત જોઈએ તે હિંમત સરકારમાં નથી. જે પણ ખોટ છે એ સરકારમાં કામ કરનારાઓની માનસિકતાની છે. જે નેગેટિવ વલણ ધરાવે છે.
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે હું એક ફોરમની મીટિંગમાં હતો. ત્યાં IAS અધિકારી કહી રહ્યા હતા કે આ શરૂ કરીશું, પેલુ શરૂ કરીશું, ત્યારે મેં IAS અધિકારીને કહ્યું કે તમે કેમ શરૂ કરશો?.. જો તમારામાં શરૂ કરવાની તાકાત હોત તો તમને IAS ઓફિસર બનીને અહીં નોકરી થોડા કરત? તમે જઇને કોઇ મોટો ઉદ્યોગ શરૂ કરી શકત.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ શનિવારના રોજ ઇંદોરમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે દેશમાં 2024-25 સુધીમાં 5,000 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવાનું લક્ષ્ય મેળવવું મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી.