બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ NDA એ નવી સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ જ ક્રમમાં મુખ્ય પ્રધાન નીતીશ કુમારે શુક્રવારે રાજ્યપાલને મળતા રાજીનામું પણ સુપરત કર્યું છે, જો કે આગળની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી તેઓ કાર્યકારી મુખ્યમંત્રી રહેશે. તે જ સમયે, રાજ્યપાલે કેબિનેટની ભલામણ પછી 16 મી વિધાનસભા ભંગ કરી દીધી છે.
બિહાર મુખ્યમંત્રી પદેથી રાજીનામું
વર્તમાન મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજીનામું આપ્યું
નવી સરકાર માટેની પ્રક્રિયા દિવાળી પછી શરૂ થઈ શકે
નોંધનીય છે કે બિહારની વિધાનસભા ચૂંટણીના 10 નવેમ્બરે પરિણામો આવ્યા હતા, જેમાં તેજસ્વી યાદવના નેતૃત્વ હેઠળના મહાગઠબંધનને 110 સીટો મળી હતી અને નીતિશ કુમારની આગેવાની હેઠળના NDA ને 125 બેઠકો મળી હતી, જે બહુમતના આંકડા 122થી 3 વધુ છે જેથી હવે બિહારમાં ચોથા કાર્યકાળ માટે NDA ની સરકાર બનશે.
આ દરમિયાન સીએમ નીતીશે તમામ પ્રધાનોના યોગદાન બદલ આભાર માન્યો. તેમણે કહ્યું કે અમારા તમામ મંત્રીઓએ સારું કામ કર્યું છે. મહત્વનું છે કે NDA વિધાનસભા પક્ષની બેઠક 15 નવેમ્બરના રોજ યોજાવાની છે અને તે પછી તમામ ધારાસભ્યો રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
નીતીશ કુમાર સોમવારે શપથ લઈ શકે છે
નીતિશ કુમાર આવતા અઠવાડિયે ચોથા કાર્યકાળ માટે બિહાર ના મુખ્ય પ્રધાન તરીકે શપથ લે તેવી સંભાવના છે, પરંતુ શપથ લેવાની તારીખ હજી નક્કી થઈ નથી. રાજકીય વર્તુળોમાં એવી અટકળો છે કે તેઓ સોમવારે શપથ લેશે.
"ભાઈબીજ" ઉત્સવ તે જ દિવસે ઉજવવામાં આવશે, જે એક શુભ દિવસ માનવામાં આવે છે. નીતીશના એક નજીકના સાથીએ કહ્યું કે તેઓ આવતા અઠવાડિયે ચોથા કાર્યકાળ માટે બિહારના મુખ્ય પ્રધાનની શપથ ગ્રહણ કરી શકે છે, પરંતુ હજુ સુધી તારીખ નક્કી થઈ નથી.
નવા કાર્યકાળ પહેલા જૂના માટે રાજીનામું આપવું જરૂરી હતું
નીતિશ કુમારે ફરીથી શપથ લેતા પહેલા રાજીનામું આપવું પડે તેમ હતું કેમ કે આ અગાઉની વિધાનસભા ભંગ કરવા માટે મુખ્યમંત્રીને કેબિનેટ ભંગ કરવી જરૂરી હોય છે અને રાજ્યપાલને મળીને વિધાનસભાને ભંગ કરવાની ભલામણ કરવાની હોય છે. NDA ના નવા ચૂંટાયેલા ધારાસભ્યો હજી ઔપચારિક રીતે મળવા માટે બાકી છે અને NDA એ તેમના ઔપચારિક રીતે તેમના નેતાઓ જાહેર કર્યા નથી.
જો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના ટોચના નેતાઓએ નીતીશને મુખ્ય પ્રધાનપદે ટેકો આપ્યો છે. દરમિયાન, મુખ્ય ચૂંટણી અધિકારી એચઆર શ્રીનિવાસ ગુરુવારે રાજભવન ગયા હતા અને વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોની યાદી રાજ્યપાલને સુપરત કરી હતી.