બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ચૂંટણી પછી એનડીએ ગઠબંધનમાંથી અલગ થઈ શકે તેવું સૂત્રોએ જણાવ્યું છે.
યુપી ચૂંટણી પછી નીતિશ કુમાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં
યુપી ચૂંટણી પછી નીતિશ NDA ગઠબંધનમાંથી છેડો ફાડી શકે
રાષ્ટ્રપતિ પદના ચહેરા તરીકે નીતિશ કુમારના નામની વિપક્ષે ચર્ચા શરુ કરી
યુપી ચૂંટણી પછી મુખ્યમંત્રી નીતિશ કુમાર NDA ગઠબંધનમાંથી દૂર થઈ શકે તેવો સૂત્રોના દાવો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારને વિપક્ષ વતી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાની અટકળોની વચ્ચે એક મોટી ખબર આવી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, યુપી ચૂંટણી પછી નીતિશ કુમાર ભાજપ ગઠબંધનમાંથી અલગ થઈ શકે છે. તેઓ આ અંગેનો ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે.
નીતીશના નામની વિચારણા શા માટે
આ મહિને કેસીઆર અને પ્રશાંત કિશોરની મુલાકાત થઈ ત્યારે નીતિશ કુમારને રાષ્ટ્રપતિ બનાવવાની વાત શરૂ થઈ હતી. પીકેની ટીમ આ વખતે તેલંગાણા ચૂંટણીમાં કેસીઆરની પાર્ટી ટીઆરએસ માટે કામ કરશે. બંને પક્ષો વચ્ચે બે દિવસ સુધી ચાલેલી આ બેઠકમાં નીતિશને રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા પર લાંબી ચર્ચા થઈ હતી. ત્યારબાદ પટનામાં ડિનર પર નીતિશ અને પ્રશાંત કિશોરની મુલાકાત થઈ હતી. કેસીઆરએ મુંબઈમાં શરદ પવાર અને સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. આ પહેલા આરજેડી નેતા અને બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે પણ કેસીઆર સાથે મુલાકાત કરી હતી.
હાલમાં નીતિશની પાર્ટી JDU NDA ગઠબંધનનો હિસ્સો છે
બિહારમાં નીતિશની પાર્ટી જેડીયુ અને ભાજપની ગઠબંધન સરકાર છે. પરંતુ જાતિગત વસ્તી ગણતરીને લઈને જેડી(યુ) અને ભાજપ વચ્ચે ખેંચતાણ યથાવત છે. આરજેડી આ મુદ્દે નીતિશની સાથે છે. વિપક્ષોની રણનીતિ ભાજપ સામે એટલો મજબૂત ઉમેદવાર આપવાની છે કે કોંગ્રેસને પણ સમર્થન આપવાની ફરજ પડશે.
બિહાર સરકાર પર સંકટના વાદળ ઘેરાઈ શકે
જો નીતિશ કુમાર એનડીએ ગઠબંધનમાંથી બહાર નીકળી જાય તો ભાજપને મોટો ફટકો પડી શકે છે. કારણ કે હાલમાં બિહારમાં ભાજપ અને નીતિશની પાર્ટી જેડીયુની ગઠબંધનની સરકાર છે. આવી સ્થિતિમાં સરકાર પડી પણ ભાંગે છે. જોકે આ તો સૂત્રોનો દાવો છે તે ખોટો પણ પડી શકે.