3 દિવસ અગાઉ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર નીતિન પટેલે કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ગાંધીનગર કમલમ ખાતે નીતિન પટેલને સંગઠન મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ ભાજપનો ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા છે.
ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ફટકો
કમલમ ખાતે કોંગ્રેસના પૂર્વ નેતા જોડાયા ભાજપમાં
સંગઠન મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના હસ્તે ધારણ કર્યો કેસરિયા
ગુજરાતમાં ચૂંટણી પહેલા પક્ષપલટો જોવા મળી રહ્યો છે. જેનું સૌથી વધુ નુકશાન કોંગ્રેસમાં થતું હોય તેવું જોવા મળી રહ્યું છે. ઘણા કોંગ્રેસ દિગ્ગજ નેતાઓ હાલ પક્ષપલટો અથવા રાજીનામાં તરફ વળી રહ્યા છે. જેમાં વધુ એક નામ ઉમેરાયું છે. અમદાવાદ શહેર કોંગ્રેસના પૂર્વ નેતા નીતિન પટેલે આજે કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. મહત્વનું છે કે તેમણે ગત 20 ઓક્ટોબરના રોજ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પોતાનું રાજીનામું સોપ્યું હતું.
કમલમ ખાતે કોંગ્રેસના પૂર્વ નેતા જોડાયા ભાજપમાં
આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે નીતિન પટેલ વિધિવત રીતે ભાજપમાં જોડાયા. તેમણે સંગઠન મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ભાજપમાં જોડાયા બાદ તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, મારી કોંગ્રેસમાંથી ભાજપમાં એન્ટ્રી નથી, મારી ભાજપમાં ઘર વાપસી થઈ છે. મારી ટિકિટ માટે કોઈ માંગણી નથી.
કોંગ્રેસના નેતાઓએ ખૂબ આશિર્વાદ આપ્યા: નીતિન પટેલ
તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ સાથે મારી કોઈ દુશ્મની નથી. કોંગ્રેસના નેતાઓએ ખૂબ આશીર્વાદ આપ્યા છે. માંગી નથી તોય ટિકિટ આપી છે. અત્યારે પણ ટિકિટ આપતા હતા. પરંતુ કોંગ્રેસ પાસે કોઈ વિઝન નથી. લોકો પાસે મત માંગવા માટે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી.
2017માં નારણપુરા વિધાનસભાથી લડ્યા હતા ચૂંટણી
વાત કરીએ તો નીતિન પટેલ 2017માં કોંગ્રેસની ટિકિટ પર નારણપુરા વિધાનસભાથી ચૂંટણી લડ્યાં હતા. જ્યાં તેઓને 41 હજાર મત મળ્યાં હતા. પ્રદેશ કોંગ્રેસના ડેલીગેટ પ્રદેશના પૂર્વ મંત્રી નીતિન પટેલે ગત 20 ઓક્ટોબરે રાજીનામું આપીને ખળભળાટ મચાવી દીધો હતો. અમદાવાદ કોંગ્રેસના આગેવાન નીતિન પટેલે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પોતાનું રાજીનામું સોપ્યું હતું.
અમિત શાહની પરંપરાગત નારણપુરા બેઠક પરથી લડ્યા હતા ચૂંટણી
ઉલ્લેખનીય છે કે તેમણે અન્ય કોંગ્રેસના નેતાઓની જેમ અહીં રાજીનામામાં પોતાના રાજીનામા આપવાનું કારણ ક્યાંય ઉલ્લેખ્યું ન હતું. જોકે અહીં ચાલતા પૂર્વાનુમાનનું માનીએ તો તેઓ હવે કોંગ્રેસમાં રહેવા માગતા ન હતા અને આગામી સમયમાં પક્ષ સાથેની કોઈ કામગીરીમાં જોડાવા માગતા ન હતા. અહીં એ પણ જાણવા જેવું છે કે, ભાજપના કદાવર નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પરંપરાગત બેઠક એવી અમદાવાદની નારણપુરા બેઠક પરથી તેઓ અગાઉ વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના પંજા હેઠળ ચૂંટણી લડી ચુક્યા છે. આ બેઠક પરનું પરિણામ લોકો જાણતા જ હશે. પરંતુ અહીં એ પણ ધ્યાનમાં લેવા જેવું છે કે આ બેઠક પરથી 41 હજાર મત નીતિન પટેલના ખાતામાં પડ્યા હતા.