મહેસાણાના કડીના લહોર ગામમાં અનુસૂચિત જાતિના લોકો દ્વારા વરઘોડો કાઢવામાં આવતા વિવાદ થયો હતો. જ્યારે હવે દલિત પરિવાર સાથે કરાયેલા બહિષ્કારનો મામલે આખરે સરકાર વ્હારે આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરિવાર સાથે કરી મુલાકાત કરી હતી.
નીતિન પટેલ આગળ પીડિત પરિવારે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, ગમે તે સમાજ વરઘોડો કાઢી શકે છે. બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવામાં આવશે. તેમજ પીડિતોને 1 લાખની સહાય પણ જાહેર કરાઈ છે.
તમને જણાવી દઇએ કે, મહેસાણાના લહોર ગામમાં દલિત સમાજ દ્વારા લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. બે દિવસ પહેલા મેહુલ પરમાર નામના યુવકના લગ્ન હતા. લગ્ન મુદ્દે ગ્રામજનોએ ગામમાં વરઘોડો નહીં કાઢવા જણાવ્યું હતું. તેમ છતાં વરઘોડો ગામમાં કાઢવામાં આવતાં ગ્રામજનોએ તાલિબાની ફરમાન જાહેર કર્યાં હતાં.
દલિત સમાજ સાથે વ્યવહાર કાપી નાખ્યા હતાં અને જો કોઈ વ્યવહાર કરે તો 5 હજારનો દંડ જાહેર કર્યો હતો. આ મામલે ગામના સરપંચ સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ થતા ગામના સરપંચ વિનુજી પ્રહલાદજી ઠાકોરની અટકાયત પણ કરવામાં આવી હતી.