શિયાળુ પાક માટે ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે રવિ સીઝનમાં સિંચાઈ માટે ખેડૂતોને નર્મદાનું પાણી આપવામાં આવશે. 12 નવેમ્બરથી કેનાલોમાં પાણી છોડવામાં આવશે.
જોકે તેવી કેનાલોમાં જ પાણી છોડવામાં આવશે જે વિસ્તારમાં 50 ટકા સિંચાઈ માટે ફોર્મ ભરાયા હશે. જો 50 ટકા ખેડૂતોએ ફોર્મ નહીં ભર્યા હોય તો તે વિસ્તારની કેનાલમાં પાણી છોડવામાં આવશે નહીં. દરેક કેનાલોમાં પણ વારાફરતી પાણી છોડવામાં આવશે.
જેથી કરીને દરેક ખેડૂતોને પુરતા પ્રમાણમાં પાણી મળી શકે. 12 નવેમ્બરથી 28 ફેબ્રુઆરી સુધી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવશે. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રીએ નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓના પગારમાં વધારો કરવાની પણ જાહેરાત કરી છે.
જેનો લાભ 14 500 કર્મચારીઓને આપવામાં આવશે. નવો પગાર વધારો 1 એપ્રિલ 2018થી લાગુ ગણવામાં આવશે. દિવાળી તહેવારને પગલે સરકારે જો કોઇ દાઝી જાય તો 108 એમ્બ્યુલન્સને ફોન કરવા માટે કહ્યું છે. જેમાં દાઝેલા લોકોની સરકારી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવશે.