ભાજપ સાંસદ નારણ કાછડિયાએ કરેલ ગંભીર આક્ષેપો પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જવાબ આપ્યો છે
નીતિન પટેલ VS નારણ કાછડિયા વિવાદ
હવે નીતિન પટેલ ખૂલીને મેદાનમાં આવ્યા
નારણ કાછડિયાના એક એક આરોપનો આપ્યો જવાબ
નીતિન પટેલે એક એક આરોપો પર જવાબ આપ્યા
ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલમાં જ ગુજરાતમાં આખી સરકાર ઉથલાવી નાંખવામાં આવી છે. મુખ્યમંત્રી સહિત આખી કેબિનેટે રાજીનામું આપ્યું અને તાબડતોબ નવા મંત્રીમંડળનું કામકાજ શરૂ પણ થઈ ગયું. આટલી મોટી સરકારની બદલી છતાં સામે આવીને કોઈ મોટા નેતાએ નારાજગી વ્યક્ત કરી ન હતી. જોકે હાલમાં જ ભારતીય જનતા પાર્ટીનાં બે દિગ્ગજ નેતા નીતિન પટેલ અને નારણ કાછડિયાનો વિવાદ સામે આવ્યો છે. નારણ કાછડિયા છેલ્લા બે દિવસથી નીતિન પટેલ સામે ખૂલેઆમ શિંગડા ભરાવી રહ્યા છે, કાછડિયાએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે નીતિન પટેલે તો એમ કહ્યું હતું કે સૌરાષ્ટ્રના લોકો ચોર છે. આ સિવાય પણ સાંસદ કાછડિયાએ જુદી જુદી મીડિયા ચેનલોમાં નીતિન પટેલ પર ગંભીર આરોપો લગાવતા હતા ત્યારે આજે નીતિન પટેલે બધા જ આરોપો પર જવાબ આપ્યા છે.
કાછડિયાએ કહ્યું કોઈને મળતા નહીં, નીતિન પટેલનો જવાબ : રોજ 500-700 લોકો ઓફિસમાં આવતા હતા
નીતિન પટેલે આજ સુધી કાછડિયાનું નામ લઈને નિશાન સાધ્યું ન હતું, જોકે તેમણે આજે ખૂલીને કહ્યું કે મહેસાણામાં બે દિવસ પહેલા કહેલી વાતનો બાદમાં ઉલ્લેખ તેમણે કેમ કર્યો તે મને સમજાયું નહીં. તેમણે કહ્યું કે મારી ઓફિસમાં અનેક લોકો કામ માટે આવતા હતા તેમાં સાંસદો પણ હોઈ શકે. મારી ઓફિસમાં રોજના 700 લોકો આવતા હતા અને વર્તમાનમાં પણ આવે છે.
કાછડિયાએ ડૉક્ટરની બદલી માટે કરી હતી ભલામણ, નીતિન પટેલે કહ્યું મારા ધ્યાનમાં નથી
નોંધનીય છે કે નીતિન પટેલ અને નારણ કાછડિયા વચ્ચેનો વિવાદ મૂળ તો ડૉક્ટરની બદલીનો છે જે કોરોના વાયરસકાળ દરમિયાનનો છે. નારણ કાછડિયાનો આરોપ હતો કે નીતિન પટેલ તેમની વાત સાંભળતા નથી ત્યારે આજે તે મુદ્દે પણ નીતિન પટેલે જવાબ આપતા કહ્યું કે નારણભાઇએ કયા ડૉક્ટર માટે શું ફરિયાદ કરી તે બાબત મારા ધ્યાનમાં નથી. હું ચોક્કસ એટલું કહીશ કે કોરોના વાયરસનાં કપરા સમયમાં નાના ગામડાથી લઈને અમદાવાદ સિવિલ સુધી ડોકટરોએ ખૂબ સારી કામગીરી કરી છે. નીતિન પટેલે કહ્યું કે નારણ ભાઈએ કયા ડૉક્ટર માટે શું ફરિયાદ કરી કે મારા ધ્યાનમાં ન હોય અને હવે તો હું મંત્રી નથી એટલે મારા પાસે રેકોર્ડ ન હોય.
કાછડિયાએ સૌની યોજના પર લગાવેલ આરોપ પર પણ નીતિન પટેલે આપ્યો જવાબ
નારણ કાછડિયાએ નીતિન પટેલ પર સૌની યોજનાને લઈને ગંભીર આરોપ લગાવ્યા હતા ત્યારે સૌની યોજના મામલે નીતિન પટેલે જવાબ આપતા કહ્યું કે સિંચાઇ વિભાગની જવાબદારી ઘણા વર્ષોથી મારા પાસે નથી. હું તો જ્યારે મોદી સાહેબ ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી આપવા માટે સૌની યોજના શરૂઆત કરી હતી. તે સમયે હું સિંચાઇ મંત્રી હતો અને યોજનાનું ફેઝ વનનું કામ તે વખતે કરેલું હતું. ત્યાર પછી માંરા વિભાગ બદલાયા, મારા પછી તો બાબુભાઇ બોખરીયા અને છેલ્લા પાંચ વર્ષથી વિજયભાઈ પાસે જ સિંચાઇ વિભાગનો ચાર્જ છે. તે વખતે તો હું નાણામંત્રી હતો, મેં જ છ હજાર કરોડની મંજૂરી આપી હતી. મેં મારી પાસે જેટલી જવાબદારી હતી તે બધી જ જવાબદારી મેં પૂરી કરેલી છે. મારા સિંચાઇ મંત્રી બન્યા પછી મેં અમરેલીની ખૂબ સારી ઠેબી યોજના જે ખોરંભે પડી હતી તે યોજના મેં પૂર્ણ કરાવી હતી.
વિવાદ શરૂ ક્યારે થયો
નોંધનીય છે કે નીતિન પટેલના એક ફેસબુક વીડિયો પર નારણ કાછડિયાએ ખૂલેઆમ સામે પડ્યા અને કહ્યું કે ગાંધીનગર જઈએ ત્યારે સામું પણ નહોતા જોતાં. કામ તો દૂરની વાત રહી. નીતિન પટેલે પહેલા કટાક્ષમાં કહ્યું હતું કે પાર્ટીમાં વિભીષણ હોય તેમ મંથરા પણ હોય છે. જેમને મારા મંત્રી ન રહેવાથી છૂપો આનંદ હોઈ શકે છે, નીતિન પટેલે કહ્યું હતું કે મંથરાએ ભગવાન દશરથના કાન ભંભેરણી કરી હતી.