રાજ્ય સરકાર દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ખેડૂતો વીજ કનેક્શન, પાક વીમો, કૃષિ લોનને લઇ કેટલીક જોગવાઇઓ જાહેર કરી છે. નાણામંત્રી નીતિન પટેલે કહ્યું કે, પ્રધાનમંત્રી ખેડૂત સન્માન યોજના અંતર્ગત 28 લાખ ખેડૂતને રૂ.1131 કરોડ ચૂકવ્યા છે.
ખેડૂતોને ઝીરો ટકાના દરે ધિરાણ
આ ઉપરાંત કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ.7111 કરોડની જોગવાઇ કરાઇ છે. સાથે જ ગ્રામ્ય કક્ષાની યોજનાની અમલવારી માટે માટે 2771 નવી જગ્યાઓ ભરાશે જેમાંથી ચાલુ વર્ષમાં જ 1121 જગ્યાઓ ભરી દેવામાં આવશે. બેંક લોકને લઇ કહ્યું કે, ખેડૂતો દર વર્ષે બેંકમાંથી રૂ.15 હજાર કરોડની લોન મેળવે છે અને ખેડૂતોને ઝીરો ટકાના દરે ધિરાણ આપવામાં આવે છે. ત્યારે બજેટમાં કૃષિ લોનમાં ખેડૂતો માટે વધુ રૂ. 952 કરોડની જોગવાઇ કરાઇ છે.
ખેડૂતોને સાધનોની ખરીદી માટે કરાઇ રૂ. 234ની ફાળવણી
પાક વિમા અંતર્ગત રૂ.1073 કરોડ ફાળવાયા છે. સાથે જ ખેડૂતોને સાધનોની ખરીદી માટે રૂ. 234 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં 32 હજાર ખેડૂતોને સહાય અપાશે.
1.25 લાખ ખેડૂતોને નવા વીજ કનેક્શન અપાશે
આ ઉપરાંત સૂક્ષ્મ સિંચાઇનો વ્યાપ વધારવા માટે પણ 750 કરોડની જોગવાઇ કરાઇ છે. ઉપરાંત ગુજરાતમાં 1.25 લાખ ખેડૂતોને નવા વીજ કનેક્શન અપાશે અને ખેડૂતોની આવક રાજ્યમાં 2022 સુધી બમણી કરવામાં આવશે.
નર્મદા યોજના માટે 6 હજાર 595 કરોડની જોગવાઈ
તો આ તરફ સરકારે નર્મદા યોજના માટે પણ બજેટમાં જોગવાઈ કરી છે. જે અંતર્ગત બજેટમાં નર્મદા યોજના 6 હજાર 595 કરોડની જોગવાઈ કરાઈ છે. નર્મદા અસરગ્રસ્તોના પુન:વસન માટે 75 કરોડની ફાળવણી કરાઈ છે.
તો ગરુડેશ્વર વિયર અને ગોર બ્રિજના બાંધકામ માટે 247 કરોડ ફાળવાયા છે. તો નર્મદા નહેરના વધારાના બાંધકામ માટે 371 કરોડ ફાળવાયા છે..નર્મદા યોજનામાં સૌરાષ્ટ્રમાં નહેરોના બાંધકામ માટે 561 કરોડ રૂપિયા વાપરવામાં આવશે.
માછીમારોને સરકારે આપી મોટી ભેટ
માછીમારો માટે પણ સરકારે બજેટમાં વિવિધ જાહેરાતો કરી હતી. નિલક્રાંતિ યોજના માટે 65 કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો ફીશિંગ બોટ અને ડીઝલ પર વેટ સહાય માટે 150 કરોડ તથા કેરોસીન સહાય માટે 18 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ સાથે જ હોડીઓના આધુનિકરણ-GPRS સિસ્ટમ માટે 60 કરોડ તથા રાજ્યના બંદરોના વિકાસ માટે 210 કરોડ તથા માંગરોળ, નવાબંદર, પોરબંદરના બંદરના વિકાસ માટે તથા વેરાવળ, માઢવાડ અને સુત્રાપાડાના બંદરનો કરાશે વિકાસ કરવાની પણ રાજ્ય સરકારે બજેટમાં જાહેરાત કરી હતી.
કૃષિ, પશુ પાલન અને મત્સ્યોદ્યોગ
ખેડૂત યોજનાના અમલ માટે 2,771 નવી જગ્યાઓ ભરવામાં આવશે. જે અંતર્ગત આ વર્ષે 1121 જગ્યાઓ ભરાશે. ગુજરાતના ખેડૂતોને ઝીરો ટકાના દરે પાક ધિરાણ માટે ખેડૂત વ્યાજ સહાય આપવા રૂ.952 કરોડની જોગવાઇ કરી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ 18 લાખ ખેડૂતોને આવરી લેવાશે.
જેના માટે 1073 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના માટે 299 કરોડ, ફાર્મ મિકેનાઇઝેશન માટે 235 કરોડ, ફૂડ પ્રોસેસિંગ માટે 34 કરોડની ફાળવણી કરવામાં આવશે. રાસાયણિક ખાતર માટે 25 કરોડ, સેટેલાઇટ ઇમેજ ડ્રોન ફોટોગ્રાફી માટે 25 કરોડ, બાગાયત વિકાસ માટે સેન્ટર ઓફ એકસેલન્સ માટે 8 કરોડ, 4000 ડેરી ફાર્મ સ્થાપવા 134 કરોડની જોગવાઇ, 460 ફરતા પશુ દવાખાના માટે 47 કરોડ, મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે 28 કરોડની જોગવાઈ કરી છે.જ્યારે ડેરી વિકાસ અને પશુ પાલકોને સાધન સહાય માટે 36 કરોડ, ગૌ સેવા વિકાસ માટે 38 કરોડ, સહકાર કિસાન કલ્પ વૃક્ષ યોજના માટે 33 કરોડ, ગોડાઉન બાંધકામ માટે 11 કરોડની ફાળવણી કરી છે.