કડી ખાતે તિરંગા યાત્રામાં રખડતી ગાયે અડફેટે લેતા પૂર્વ DyCM નીતિન પટેલને ઇજા પહોંચી હતી. ત્યારબાદ આ મામલે નીતિન પટેલે પ્રતિક્રિયા આપી ઢીંચણમા ઇજા પહોંચી હોવાનું જણાવ્યુ હતું.
અકસ્માત બાદ નીતિન પટેલની પ્રતિક્રિયા
ઢીંચાણના ભાગે સામાન્ય ઈજા છે : નીતિન પટેલ
કડીમા પ્રાથમિક સારવાર લીધી : નીતિન પટેલ
આજે મહેસાણાના કડીમાં તિરંગા યાત્રા દરમ્યાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રખડતી ગાયે અડફેટે લીધા હતા. જેમાં તેમને સામાન્ય ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નીતિન પટેલને ગાયે અડફેટે લેતા ઢીંચણના ભાગે ઈજા પહોચી હોવાથી ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ત્યારબાદ આ મામલે પૂર્વ DyCM નીતિન પટેલે પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. જેમાં નીતિન પટેલે કહ્યું હતું કે, ઢોરના હૂંમલાને લઇને ઢીંચણના ભાગમા સામાન્ય ઈજા થઇ હતી. જેથી મે કડીમા પ્રાથમિક સારવાર લીધી છે.
ઢીંચાણના ભાગમા સામાન્ય ઈજા થઇ : નીતિન પટેલ
આ અંગે પૂર્વ DyCM નીતિન પટેલે નિવેદન આપી જણાવ્યું કે આજે મહેસાણાના કડીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે યાત્રા શહેરના મુખ્ય વિસ્તારોમાં ફરી કરણપૂર શાક માર્કેટમાં પહોંચી હતી. આ દરમિયાન એકાએક રખડતી ગાય દોડતી આવતા રેલીમાં ભાગદોડી મચી ગઇ હતી. આ મામલે નીતિન પટેલે જણાવ્યું હતું કે ગાયએ અચાનક આવીને અડફેટે લેતા મારા સહીત બે ત્રણ લોકો ત્યાં પડી ગયા હતા. આ ઉપરાંત એકથી બે વિદ્યાર્થીઑને પણ ઇજા થઇ હતી. હું પડતાંની સાથે જ પોલીસ જવાનો, ભાજપના કાર્યકરો અને સિક્યુરિટી વાળાઑએ તરત જ ગાયને હાંકી બહાર કાઢી હતી. આ વેળાએ પગમાં લાગ્યું હોવાથી ઊભા થવાય તેવી સ્થિતિ ન હોવાથી કાર્યકરોની મદદથી કારમાં બેસાડી સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં ઢીંચણમાં ઇજા થઇ હોવાથી તબીબોએ સારવાર કરી અને 20 દિવસ પાટો બાંધી રાખવા તબીબોએ સલાહ આપી હોવાનું અંતમાં નીતિન પટેલે ઉમેર્યું હતું.
નીતિન પટેલના અકસ્માત પર પૂર્ણેશ મોદીએ શું કહ્યું ?
નીતિન પટેલને રખડતી ગાયે અડફેટે લીધા બાદ હવે પૂર્ણેશ મોદીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, અકસ્માત એ અકસ્માત છે. રખડતા ઢોર બાબતે સારો કાયદો બનાવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, બધાએ સાવચેતી રાખવી જરૂરી છે. રખડતા ઢોર બાબતે સરકાર જાગૃત છે અને અમે આ મુદ્દે વોટબેંક કે તુષ્ટિકરણની નીતિવાળા નથી.