ભાવનગર: નીતિન પટેલ અંગે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી ચર્ચાઓમાં પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ ઝંપલાવ્યું છે. હાર્દિકે જણાવ્યું હતું કે ભાજપના કેટલાય નેતાઓ પક્ષની કામ કરવાની પદ્ધિતને લઈને નારાજ છે. હાર્દિકે જણાવ્યું હતું કે પરસોત્તમ સોલંકી બાબુ બોખરીયા નીતિન પટેલ અને સી.કે.રાઉલજી જેવા નેતાઓ પક્ષથી નારાજ છે. આ સાથે હાર્દિકે જણાવ્યું હતું કે નીતિન પટેલે અમારી સાથે આવવું જોઈએ. જો તેઓ એવું નહીં કરે તો ઝભ્ભા ફાટવા માટે તૈયાર રહે.
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ પાટીદાર આંદોલનના પ્રણેતા અને પાટીદાર સમાજના આગેવાન છે.તેઓ વારંવાર પોતાના નિવેદનોને કારણે માધ્યમોમાં ચર્ચામાં રહે છે ત્યારે આજરોજ ગુજરાત ભાજપ વિશે તેમણે નિવેદન આપતા જણાવેલ કે કેટલાક નેતાઓ પક્ષની કામ કરવાની પદ્ધતિથી નારાજ છે. આ સાથે તેમણે ભાજપના કેટલાક ટોચના નેતાઓના નામનો ઉલ્લેખ કરતા જણાવેલ કે તેઓ પક્ષથી નારાજ છે.
આપને જણાવી દઇએ કે આ પહેલા પણ પાટીદાર આંદોલનના આગેવાન હાર્દિક પટેલ ચૂંટણી સમયે કોંગ્રેસના પીઢ નેતા અને વર્તમાન અધ્યક્ષ રાહુલ ગાંધીને ગુજરાતની એક જાણીતી હોટલમાં મળ્યા હોવાના CCTV ફુટેજ પણ સામે આવ્યા હતા તથા હાર્દિકની કેટલીક કથિત સીડી પણ માધ્યમોમાં સામે આવી હતી.
જો કે છેલ્લા કેટલાક સમયથી પાટીદાર સમાજના કેટલાક નેતાઓ હાર્દિક પટેલથી નારાજ થયા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જે પગલે બોટાદ ખાતે તાજેતરમાં યોજાયેલ પાટીદાર સમાજની એક બેઠકમાં હાર્દિકને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું.