મહેસાણામાં PM મોદીના જન્મદિવસના કાર્યક્રમમાં ભાજપના મોટા મોટા નેતા હાજર, પણ નીતિન પટેલ..
મહેસાણામાં PM મોદીના જન્મ દિવસની મોટી ઉજવણી
નીતિન પટેલ હાજર ન રહેતા અનેક તર્ક વિતર્ક
પ્રોટોકોલ મુજબ સ્થાનિક ધારાસભ્યએ રહેવું પડે છે હાજર
ગુજરાતના મુખ્યમંત્રી સાથે નવું મંત્રીમંડળ તો રચાઇ ગયું છે, પણ આવનાર પડકાર અને સિનિયરોની નારાજગી હવે છતી રહી છે. તેમાંય ખાસ કરી બહાર ભલે નેતાઓ ભાજપ હાઈકમાન્ડના નો રિપીટના નિર્ણયને હસતાં મોઢે સ્વીકારી રહ્યા હોય પણ અંદર ખાને ભભૂકતી આગ કોઈના કોઈ રૂપે બહાર આવતી જ જાય છે.
શું નીતિન પટેલ નારાજ છે?
નીતિન પટેલ મીડિયા સાથે કરેલી વાતમાં વારંવાર કહે છે તે નારાજ જ નથી નારાજ નથી, પણ રાજકારણમાં બોલવા અને ચાવવાના જુદા હોય છે તે વાત બધા જ જાણે છે. મંત્રીમાંથી પણ થયેલી બાદબાકીથી કોઈ તો વસવસો જણાઈ આવે છે અને તેથી જ નીતિન પટેલ પોતાના હોમટાઉનમાં પીએમ મોદી જન્મદિવસની મોટી ઉજવણીમાં ગેરહાજર રહ્યા. કોઈ અન્ય કારણ પણ હોય શકે છે પરંતુ ગુજરાતના રાજકારણમાં અત્યારે ઊભી થયેલી સ્થિતિને જોતાં નીતિન પટેલ હાજર ન રહેતા અનેક તર્ક વિતર્ક લગાવાઈ રહ્યા છે. રિસામણાં તો થયા છે પણ કોણ હોડીનું નાળિયેર બને તેની સૌ કોઈ સિનિયર મંત્રીઑ રાહ જોઈ રહ્યા છે. હાલ તો ઘરભેગા થયેલા મંત્રીઑ કાર્યક્રમમાં જવાનું પણ ટાળી રહ્યા છે. મીડિયા સમક્ષ પોતાની વ્યથા પણ ઠાલવવાથી બચી રહ્યા છે. હાલ તો ગુજરાતમાં એક જ વાત ચર્ચાઇ રહી છે, નીતિન પટેલ ના'રાજ' નથી.તો હોમટાઉન મહેસાણામાં PM મોદીના જન્મદિવસ કાર્યક્રમમાં કેમ સૂચક ગેરહાજરી...
PM મોદીના જન્મ દિવસની ઉજવણીમાં કોણ કોણ હાજર હતા
આ ઉજવણી સમારોહમાં નીતિન પટેલની સૂચક ગેરહાજરી જોવા મળી હતી.પ્રોટોકોલ મુજબ સ્થાનિક ધારાસભ્યએ કાર્યક્રમમાં હાજર રહેવું પડે છે.પરંતુ મહેસાણાના ધારાસભ્ય નીતિન પટેલ ગેરહાજર રહેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.આપને જણાવી દઈએ કે, આ ઉજવણી દરમિયાન પ્રમુખ સી.આર.પાટીલ, મનીષા વકીલ અને ભાજપ મહામંત્રી રજનીભાઇ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના આયોજક કોણ હતા?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસની દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે.ત્યારે મહેસાણામાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની અલગ અંદાજમાં ઉજવણી કરવામાં આવી હતી.મહેસાણાના એચ.એલ.રાય ફાઉન્ડેશન અને રાજધાની ફાઉન્ડેશન દ્વારા પીએમ મોદીના 71માં જન્મદિવસ નિમિતે 71 ફૂટ ઉંચુ સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવ્યું છે.સાથે જ બંને ફાઉન્ડેશન દ્વારા કોરોના મહામારીમાં અસહાય બનેલા પરિવારને મદદ રૂપ થવા એક એપ પણ લોન્ચ કરાઇ છે. આ ઉપરાંત 71 ગામમાં કૃષિલક્ષી સાધનોનું પણ વિતરણ કરવામાં આવ્યું.પિન્ટુ પટેલ અને આલોક રાય નામના બે યુવાન દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.