ઓટો સેક્ટરમાં ચાલી રહેલી મંદી અને પેટ્રોલ-ડીઝલ ગાડીઓના ભવિષ્યને લઇને ચાલી રહેલી આશંકાઓ વચ્ચે સરકારનું મોટુ નિવેદન આવ્યું છે. જે ઓટો સેક્ટરને કંઇક હદે રાહત આપી શકે છે. હવે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલ વાહનો પર પ્રતિબંધ લગાવવાની કોઇ જરૂર નથી. એમણે કહ્યું કે ઇલેક્ટ્રિક વાહન લોકપ્રિય બની રહ્યા છે. એમણે કહ્યું કે બે વર્ષમાં તમામ બસ ઇલેક્ટ્રિક થઇ જશે.
ઓટો સેક્ટરમાં મંદી વચ્ચે સરકારનું મોટુ નિવેદન
નીતિન ગડકરીએ કહ્યું- બે વર્ષમાં તમામ બસ ઇલેક્ટ્રિક થઇ જશે
નીતિ આયોગનો પ્રસ્તાવ : વર્ષ 2030 બાદ દેશમાં માત્ર ઇલેક્ટ્રિક વાહન વેચાશે
નીતિ આયોગે પ્રસ્તાવ આપ્યો હતો કે વર્ષ 2030 બાદ દેશમાં માત્ર ઇલેક્ટ્રિક વાહન (Electric Vehicles) વેચવામાં આવશે. નીતિ આયોગના આ પ્રસ્તાવ બાદ ઓટો સેક્ટરમાં એક પ્રકારની બેચેની પણ જોવા મળી હતી. એ સમયે પણ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ઘણા કેન્દ્રીય મંત્રીઓએ વાહન ઉદ્યોગની ચિંતા દૂર કરવાના પ્રયાસ કરતા કહ્યું હતું કે સરકારનો આવો કોઇ ઇરાદો નથી.
નોંધનીય છે કે, નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાન્તની આગેવાની વાળી એક સમિતિએ ભલામણ કરી હતી કે 2025થી 150 સીસી એન્જીન ક્ષમતા વાળા માત્ર ઇલેક્ટ્રિક ટુવ્હિલર અને થ્રી વ્હિલરનું વેચાણ કરવામાં આવશે.
ગડકરીએ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉપક્રમો (MSME) માં ઉર્જા કાર્યક્ષમતા પર એક રાષ્ટ્રીય સમ્મેલનને સંબોધિત કરતા કહ્યું, 'હું હંમેશા ઇલેક્ટ્રિક વાહનો કાર, બાઇક અને બસોની વાત કરતો રહ્યો છું, હવે તે ખુદ શરૂ થઇ ગયું છે. તેને અનિવાર્ય કરવાની જરૂર નથી. પેટ્રોલ, ડીઝલ વાહનો પર પ્રતિબંધ લગાવવાની જરૂર નથી. આવનાર બે વર્ષોમાં તમામ બસ ઇલેક્ટ્રિક હશે અને તે જૈવ ઇથેનોલ અને સીએનજી પર દોડશે.'
નીતિન ગડકરીએ કહ્યું કે, મેં જ્યારે ઉદ્યોગ સાથેની બેઠકમાં કહ્યું કે ધુમાડો છોડનારી મશીનોને બંધ કરાશે, તો ત્યારે સૌ ડરી ગયા હતા. પરંતુ હવે અમારી પાસે જર્મનીના પ્લાસ્ટિક સિલેન્ડર ઉપલબ્ધ છે. તેથી એલએનજીનો 50 ટકા ખર્ચ અને સીએનજીના 40 ટકા ખર્ચની બચત થશે.