વિશ્વભરમાં પ્રદૂષણના વધતા ખતરાને પગલે અશ્મિભૂત ઇંધણની જગ્યાએ સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત અમીર દેશોમાં ઈલેક્ટ્રિક વાહનો પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ઇલેક્ટ્રિક કાર ચલાવવામાં એક તો પર્યાવરણનું ધ્યાન રાખવામાં આવે છે અને બીજું તેને ચલાવવાનો ખર્ચ ઘણો ઓછો હોય છે. પરંતુ ભારત જેવા વિકાસશીલ દેશોમાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમત ઘણી વધારે છે. તેથી જ સામાન્ય લોકો તેને ખરીદી શકતા નથી. હવે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ લોકોને આશ્વાસન આપ્યું છે કે બે વર્ષની અંદર ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ વાહનોની બરાબર થઇ જશે.
2 વર્ષમાં તમામ ઈલેક્ટ્રોનિક વાહનોની કિંમતમાં ઘટાડો આવશે
નીતિન ગડકરીએ સંસદમાં કહ્યું કે, હું તમામ સભ્યોને વિશ્વાસ અપાવવા માંગુ છું કે આગામી બે વર્ષમાં દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમત આજે પેટ્રોલ જેવી જ થઇ જશે. ગડકરીએ કહ્યું કે ટુ વ્હીલર હોય, થ્રી વ્હીલર હોય કે ફોર વ્હીલર તમામ ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં ઘટાડો થશે. આ પછી પરિવહનમાં દેશની દિશા બદલાશે.
તમામ સરકારી પરિસરમાં ચાર્જિંગ સ્ટેશન બનાવાશે
લોકસભામાં સંસદ પરિસરમાં ચાર્જિંગ સ્ટેશન માટે સ્પીકર ઓમ બિરલાની વિનંતી પર ગડકરીએ કહ્યું, "તમામ ચાર્જિંગ સ્ટેશન ટૂંક સમયમાં તૈયાર થઈ જશે, તે પછી સાંસદો ઇલેક્ટ્રિક વાહન ખરીદી શકો છો. તેમણે કહ્યું કે તમામ સરકારી પરિસરમાં ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. અમે તેને પાર્કિંગ સિસ્ટમની જેમ સુવિધા આપવા માંગીએ છીએ. ગડકરીએ કહ્યું કે વીજ મંત્રાલયે ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે નોટિસ ફટકારી છે.
દર 40 કિલોમીટરે રસ્તાની બાજુમાં સુવિધાઓ વિકસાવાઈ રહી છે
મંત્રીએ કહ્યું કે ચાર્જિંગ સ્ટેશનોના સંદર્ભમાં સારો વિકાસ થયો છે અને વીજ મંત્રાલયે ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જાહેર કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશમાં ઇ-મોબિલિટી સંક્રમણને વેગ આપવા માટે સંશોધિત એકીકૃત માર્ગદર્શિકા અને ધોરણો મૂકવામાં આવ્યા છે.તેમણે જણાવ્યું હતું કે, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઈ) દર 40 કિલોમીટરે રસ્તાની બાજુમાં સુવિધાઓ વિકસાવી રહી છે અને તે માટે સૌર અથવા પવન ઊર્જાનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહી છે. ગડકરીએ કહ્યું કે ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનોને આ રસ્તાની બાજુમાં સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
મંત્રીએ કહ્યું કે એનએચએઆઈએ પહેલેથી જ 39 રસ્તાની સુવિધાઓ શરૂ કરી દીધી છે અને આવી 103 સુવિધાઓ માટેની દરખાસ્ત બિડિંગ સ્ટેજમાં છે. 600 થી વધુ સાઇટ્સની ઓળખ કરવામાં આવી છે અને તે માટે ટૂંક સમયમાં બિડિંગ ખોલવામાં આવશે.
હાઈવે પર અકસ્માતનો ભોગ બનતા ડ્રાઈવર,પ્રવાસીઓ,રાહદારીઓને મળશે આ લાભ
લોકસભામાં એક લેખિત સવાલનો જવાબ આપતા રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ જણાવ્યું કે માર્ગ અકસ્માત પીડિતોને કેશલેસ ટ્રીટમેન્ટ સુવિધા આપવાની સરકારની યોજના છે જેમાં ડ્રાઈવર, પેસેન્જર, રાહદારીઓ અને સાઈકલ સવાર સામેલ છે. દિલ્હી-મુંબઈ, મુંબઈ-ચેન્નઈ, ચેન્નઈ-કોલકાતા સહિતના કેટલાક હાઈવે પર થતા અકસ્માતને કારણે શરીર પર થયેલી ઈજાની સારવાર માટે રોકડ સુવિધા આપવાની સરકારની વિચારણા છે.